શા માટે શિવસેનાના નેતાઓ ઉદ્ધવને છોડી રહ્યા છે? ધારાસભ્યો બાદ હવે શિવસેનાના 17 સાંસદો પણ ઉદ્ધવ સામે પડ્યા! મૂળ કારણ જાણો
Sivsena Crisis : એકનાથ શિંદેએ ઠાકરે સામે વિરોધનો સૂર છેડ્યો, એ પછી સંજય રાઉત સહિતની છાવણી એવા જ મદમાં હતી કે શિંદેને વધુ ધારાસભ્યોનો ટેકો નહિ મળે. જે રીતે 2019માં અજીત પવાર સાથે થયું, એમ શિંદેએ પણ વિલા મોઢે પાછા શિવસેનામાં ફરવું પડશે. પરંતુ હકીકતે મદમાં છકેલા રાઉત વાસ્તવિકતાથી જોજનો દૂર હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આખી શિવસેના પાર્ટી ઉદ્ધવના હાથમાંથી સરીને એકનાથ શિંદેના કબજામાં જઈ રહી છે! ધારાસભ્યો બાદ હવે શિવસેનાના 17 સાંસદોએ પણ ઠાકરેનો સાથ છોડીને શિંદેની શરણમાં જવાનું પસંદ કર્યું છે!
શિવસેનાના સાંસદ ભાવના ગવળીએ ગઈકાલે જાહેરમાં કહ્યું હતું કે શિવસેનાએ એકનાથ શિંદેનું સમર્થન કરવું જોઈએ. ભાવના ગવળીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે શિવસેનાની વિચારધારા ભાજપ સાથે જ મેળ ખાય છે, અને આપણે ભાજપ સાથે જ યુતિ કરવી જોઈએ! બીજી તરફ એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્ય જ બાકી બચશે. આ સાથે જ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે. જો આ વાત સાબિત થાય તો કાયદેસર રીતે આખી શિવસેના પાર્ટી ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળીને એકનાથ શિંદેના હાથમાં જશે!
આમ તો આ પ્રશ્નના બે દિવસથી જુદા જુદા ઉત્તરો મળી રહ્યા છે. પણ જમીની સચ્ચાઈ એ છે કે શિવસેનાનું કોંગ્રેસ અને NCP સાથેનું જોડાણ ‘અકુદરતી’ હતું. કારણકે ત્રણેય પક્ષોની વિચારધારા એકબીજા સાથે મેળ ખાતી નથી. ખાસ કરીને શિવસેનાના મૂળમાં જ હાર્ડકોર હિન્દુત્વની વિચારધારા રહેલી છે. જ્યારે કોંગ્રેસ અને NCP પોતાના હાર્ડકોર મુસ્લિમ તુષ્ટિકરણ માટે જાણીતા છે. 2019 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ મહારાષ્ટ્રની પ્રજાએ શિવસેના-ભાજપ યુતિને ખોબલે ખોબલે મતો આપીને વિજયી બનાવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીપદની ખુરસી મેળવવા માટે થઈને ઉદ્ધવે પ્રજામતથી વિરુદ્ધ જઈને પ્રતિસ્પર્ધી પક્ષ સાથે ગઠબંધન કરવાની ભૂલ કરી!
શિવસેનાના જે નેતાઓ ચૂંટણી વખતે કોંગ્રેસ-NCP સાથે લડ્યા હતા, એ નેતાઓને આ પક્ષો સાથે સત્તા વહેંચવામાં સ્વાભાવિક રીતે જ સમસ્યા હતી. એમને માટે ભાજપ સાથે સત્તામાં બેસવું વધુ અનુકુળ હતું. કેમકે હવે પછી થનારી ચૂંટણીમાં જો હિન્દુત્વના નામે ચૂંટાતા આવેલા શિવસેનાના નેતાઓ કોંગ્રેસ-NCP સાથેના અઘાડી ગઠબંધનના નામે પ્રજા પાસે મત માંગવા નીકળે, તો પ્રજા એમને જાકારો આપે, એવી પૂરી શક્યતા હતી.
રાજકીય વિશ્લેષકો માને છે કે શિવસેનાના નેતાઓ જે રીતે એક પછી એક ઉદ્ધવનો સાથ છોડી રહ્યા છે, એની પાછળ મૂળ કારણ આ જ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp