મુંબઈ: બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવ (Kiran Rao) નિકાહના ૧૫ વર્ષ બાદ અલગ થઇ રહ્યા છે. બંનેએ સંયુક્ત નિવેદન જારી કરીને આ અંગે જાણકારી આપી છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ વર્ષોની તેમની સફર ખૂબસૂરત રહી પરંતુ હવે તેમના રસ્તા અલગ થઇ રહ્યા છે. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ તેમના પુત્ર આઝાદનું પાલન-પોષણ સાથે મળીને કરશે અને તેમના પ્રોફેશનલ પ્રોજેક્ટ ઉપર પણ આ નિર્ણયની કોઈ અસર થશે નહીં.
સંયુક્ત નિવેદનમાં બંનેએ જણાવ્યું છે કે, આ ૧૫ વર્ષોમાં અમે જીવનભરના અનુભવો, આનંદ અને હસીખુશી સાથે માણ્યા છે અને અમારો સબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં જ વિકસ્યો છે. પરંતુ હવે અમે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. હવે અમે પતિ-પત્ની તરીકે નહીં પરંતુ એકબીજા માટે કો- પેરેન્ટ્સ અને પરિવાર તરીકે રહીશું.
આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘અમે અમારા પુત્ર આઝાદને સમર્પિત છીએ, જેનું પાલનપોષણ સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સહયોગીઓ તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું.’ તેમણે કહ્યું કે ,’અમારા સબંધના વિકાસને લઈને નિરંતર સમર્થન અને સમજ માટે અમારા પરિવાર અને મિત્રોનો આભાર, જેમના વિના અમે આ નિર્ણય આટલી સુરક્ષિત રીતે લઇ શક્યા ન હોત. અમે અમારા શુભેચ્છકો પાસે શુભકામનાઓ અને આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ અને આશા કરીએ છીએ કે અમારી જેમ તમે પણ આ તલાકને એક અંત તરીકે નહીં પણ નવી યાત્રાના શુભારંભ તરીકે જોશો.
હાલ બંને લેહમાં છે
ઉલ્લેખનીય છે કે આમિર ખાન અને કિરણ રાવ હાલ લેહમાં છે અને આમિર ખાન આગામી અઠવાડિયાથી કારગિલમાં તેમની આગલી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’નું શૂટિંગ શરૂ કરશે.
ફિલ્મ ‘લગાન’ના સેટ પર મુલાકાત થઇ હતી
આમિર અને કિરણની મુલાકાત ફિલ્મ લગાનના સેટ ઉપર થઇ હતી. કિરણ લગન ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને તે લગ્નમાં પરિણમ્યો હતો. વર્ષ ૨૦૦૫ માં ૨૮ ડિસેમ્બરના રોજ લગ્ન કરી લીધા હતા. વર્ષ ૨૦૧૧ માં કિરણે પુત્ર આઝાદને જન્મ આપ્યો હતો.
આમિર ખાને પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે, માનવામાં આવે છે કે કિરણ સાથે પ્રેમમાં પડ્યા બાદ તેણે રિના દત્તા સાથે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. રીના દત્તા સાથે તેને બે બાળકો આયરા ખાન અને જુનૈદ ખાન છે.