ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો, CM ભુપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણાં
ગુજરાત ડેસ્ક : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ફરી એકવાર ભરાઈ ગયો છે. તેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થશે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી સાર્વત્રિક રીતે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના 'સરદાર સરોવર ડેમ'ની જળ સપાટી 138.68 મીટરે પહોંચતા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વખાણ કર્યા છે.
રિવરબેડ પાવરહાઉસમાંથી 43 હજાર 155 ક્યુસેક પાણી છોડાતા ડેમમાં 2 લાખ 11 હજાર 66 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 23 દરવાજામાંથી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત અને ગેટ લગાવ્યા બાદ ત્રીજી વખત 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશના ડેમમાંથી છોડાતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલમાં 2 લાખ 11 હજાર 66 ક્યુસેક નોંધાઈ છે. ત્યારબાદ સવારે 10 ગેટ 1.30 મીટર સુધી ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાના કારણે ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થયો હતો. રાત્રિના સમયે નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરની મહત્તમ સપાટીને વટાવી ગઈ છે, જેથી છલોછલ નર્મદા ડેમ જોવાની ગુજરાતની ઈચ્છા પૂર્ણ થઈ છે.
અત્રે નોંધનીય છે કે આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ઉપલેટામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જામજોધપુરમાં 2/4 ઈંચ, લીલીયામાં 1.5 ઈંચ, વાપીમાં 1/4 ઈંચ, સાંતલપુરમાં 1/4 ઈંચ, વેરાવળમાં 1 ઈંચ, ભચાઉમાં 1 ઈંચ, દાંતામાં 1/5 ઈંચ, ધરમપુરમાં 17 મીમી, માળીયા મિયાણામાં 1/5 ઈંચ અને સાવલીમાં 15 મીમી વરસાદ નોંધાયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp