સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક : નવી 1000 બસ ખરીદવા સહિત આ નિર્ણયો લેવાયા
ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યનાં મંત્રીમંડળની કેબિનેટ કક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકારનાં આ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
જાણવા મળ્યા અનુસાર, બેઠકમાં વાહનવ્યવહાર મંત્રી દ્વારા મુકાયેલા બસો ખરીદવા અંગેના પ્રસ્તાવને મંજૂર કરીની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે 200 જેટલી સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવા ભરૂચમાં નેશનલ હાઈવે 8 ઉપર થતા ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.
કોસ્ટલ હાઈવે બનાવાશે
મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળોને જોડતો અને સુવિધાઓમાં વધારો કરતો એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈ-વેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે 2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
સુરત ગેસ કાંડ, ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલે તપાસ ચાલતી હોવાનું કહ્યું
આ ઉપરાંત, સુરતમાં તાજેતરમાં જ બનેલી ઘટનામાં કેટલાક શ્રમિકોનાં મોત થયા હતા. જે મામલે મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે સરકાર એલર્ટ છે.
ઉર્જા વિભાગમાં થયેલ ભરતી કૌભાંડ મામલે પણ મંત્રીએ જણાવ્યું કે, આ મામલે GUVNL ના એમડી તપાસ કરી રહ્યા છે અને પ્રાથમિક તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે, ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ખાતરની તંગી મામલે તેમણે કહ્યું હતું કે, અગાઉ થોડા સમય માટે રાજ્યમાં તંગી હતી પરંતુ હાલ રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp