ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કારણે માર્ચ મહિનાથી બંધ રાખવામાં આવેલ શાળા-કોલેજો જાન્યુઆરીમાં ખોલવામાં આવી હતી, પરંતુ કોરોનાની ઘાતક બીજી લહેરની અસર શરૂ થતા અને રાજ્ય સહિત દેશભરમાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ વધતા માર્ચમાં ફરીથી શાળા-કોલેજો બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
કોરોનાના કારણે આ વર્ષે તમામ ધોરણોમાં માસ પ્રમોશન અપાયું છે તેમજ કોલેજોમાં સ્નાતકના વર્ગોને પણ મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ હવે એ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે રાજ્યમાં શાળા અને કોલેજો ફરીથી ક્યારે ખુલશે. કારણ કે કોરોનાના કેસ ફરીથી ઘટવા લાગ્યા છે તેમજ બીજી તરફ રસીકરણનું પ્રમાણ વધી રહ્યું છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા-કોલેજો ખોલવા અંગે કહ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે આ સાથે કહ્યું હતું કે પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે, ત્યારબાદ ક્રમશઃ નીચલા ધોરણોના વર્ગો શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરી હતી. જેમાં પહેલા ધોરણ દસ અને બારના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ ૯ અને ૧૧ તેમજ ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ થયા હતા. જોકે, નાના બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લઈને ધોરણ ૧ થી ૫ ના વર્ગો શરૂ કરાયા ન હતા.
કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી ચુક્યા છે તેમજ આ લહેરમાં બાળકોને અસર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી ચુકી છે. તેમજ હજુ સુધી કોરોનાની રસી પણ આવી નથી. જેના કારણે સરકાર આ અંગે યોગ્ય વિચારણા કરીને નિર્ણય લેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
નિદાન કસોટી અંગે કહી આ વાત
સરકાર આ મહિનામાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણમંત્રીએ કહ્યું કે બાળકો પરીક્ષા આપ્યા વગર જ ૧૧ મા ધોરણમાં પ્રવેશી ચુક્યા છે. શિક્ષકોનો મત છે કે તેમને ૯મા ધોરણનો અભ્યાસ કરાવવો. ૯મા સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પહોંચે છે અને આ વર્ષે કોરોનાના કારણે ૧૦ મા ધોરણમાં માસ પ્રમોશન અપાયું છે. જેથી નિષ્ણાંતો શિક્ષણનું સત્ર કથળ્યું હોવાના મેણા મારે છે. નિદાન કસોટી દ્વારા અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા ઉપર ભાર મુકીશું તેમ તેમણે ઉમેર્યું હતું.