એશિયા કપ 2025 ટ્રોફી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આશા છે કે ટ્રોફી આગામી એક કે બે દિવસમાં મુંબઈ સ્થિત તેના મુખ્યાલયમાં પહોંચી જશે. જો કે, જો ગતિરોધ ચાલુ રહેશે, તો BCCI 4 નવેમ્બરે ICC સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.
દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપ જીત્યો હતો. જોકે, ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહમંત્રી અને ACC તેમજ PCBના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
એશિયા કપ દરમિયાન, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મળાવવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય ટીમે એશિયા કપની ત્રણ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. જોકે નકવીએ પહેલાથી જ કહ્યું હતું કે ટ્રોફી ભારતને ભેટ આપી શકાય છે, પરંતુ તેને ફક્ત તેઓ જ આપશે. જીતના એક મહિના બાદ પણ, BCCI હજુ પણ ટ્રોફીના સત્તાવાર હસ્તાંતરણની રાહ જોઈ રહ્યું છે.
BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ PTI ને જણાવ્યું કે, ‘હા, અમે થોડા નિરાશ છીએ કે એક મહિના બાદ પણ, અમને ટ્રોફી આપવામાં આવી નથી. અમે લગભગ 10 દિવસ અગાઉ ACC પ્રમુખને પત્ર લખ્યો હતો, પરંતુ તેના વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેણે ટ્રોફી હજી પણ પોતાની પાસે રાખી છે, પરંતુ અમને આશા છે કે તે આગામી એક કે બે દિવસમાં BCCIના મુંબઈ કાર્યાલયમાં પહોંચી જશે.’
સૈકિયાએ કહ્યું કે જો ટ્રોફી ટૂંક સમયમાં સોંપવામાં નહીં આવે, તો BCCI 4 નવેમ્બરથી દુબઈમાં શરૂ થતી ICC ત્રિમાસિક બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. દુબઈમાં ટ્રોફી પ્રેઝન્ટેશનમાં પણ એક કલાકથી વધુ વિલંબ થયો હતો. બાદમાં કોઈ પણ સમજૂતી વિના ટ્રોફીને મેદાનમાંથી હટાવી દેવામાં આવી હતી, જેના કારણે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટ્રોફી વિના તેમની ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી, જે ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત થયું.
તો BCCIએ સત્તાવાર રીતે ટ્રોફી પરત કરવાની માગ કરી છે, ત્યારે અહેવાલો સૂચવે છે કે નકવી એ વાત પર અડગ છે કે ભારતીય ખેલાડીઓ ભવિષ્યના આયોજનમાં તેને વ્યક્તિગત રીતે આવીને સ્વીકારે.
સૈકિયાએ કહ્યું ક’, "BCCI વતી અમે આ મુદ્દાને ઉકેલવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હું દેશવાસીઓને ખાતરી આપી શકું છું કે ટ્રોફી ચોક્કસપણે ભારત પરત આવશે, પરંતુ સમય નક્કી નથી. એક દિવસ તે ચોક્કસ આવશે. આપણે પાકિસ્તાન સામેની બધી મેચ જીતીને ચેમ્પિયન બન્યા છીએ. બધું રેકોર્ડ પર છે. માત્ર ટ્રોફી ગાયબ છે. મને આશા છે કે વિવેકપૂર્વક નિર્ણય લેવામાં આવશે.’
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર, ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં સત્રોનો ક્રમ ઉલટાવી દેવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે ટી બ્રેક લંચ પહેલાં હોઈ શકે છે. સૈકિયાએ પુષ્ટિ કરી કે ગુવાહાટીમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે રમતનો સમય બદલવા માટે ચર્ચા ચાલી રહી છે.
તેમણે કહ્યું કે, ‘તેણે લઈને પ્રોસેસ ચાલી રહી છે કેમ કે દેશના પૂર્વ ભાગમાં સૂર્ય વહેલો ઉગે છે અને આથમે છે. એટલે દિવસમાં 6 કલાક રમત માટે સમય બદલવો જરૂરી છે. જો મેચ સામાન્ય લંચ બ્રેક પહેલાં શરૂ થાય છે, તો લંચ બ્રેક નહીં હોય. એટલે, સત્રોની અદલાબદલી થઈ શકે છે. આ કોઈ મોટો મુદ્દો નથી, પ્રક્રિયા ચાલુ છે અને હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.’