મુંબઈ: ફિલ્મ અભિનેત્રી મંદિરા બેદીના (Mandira Bedi) પતિ અને ફિલ્મ નિર્માતા રાજ કૌશલનું (Raj Kaushal) હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ બુધવારે સવારે રાજ કૌશલને હાર્ટ એટેક આવ્યો હતો, સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં તેમનું નિધન થયું હતું. રાજ કૌશલના આકસ્મિક નિધનને કારણે બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને ઘણા અભિનેતાઓએ તેમના અવસાનની પુષ્ટિ કરી શોક સંદેશ લખ્યા છે.
ફિલ્મ ડાયરેક્ટર ઓનિરે રાજ કૌશલના નિધન અંગે ટ્વીટ કર્યું છે કે, બહુ જલ્દી ચાલી ગયા. આપણે આજે સવારે ફિલ્મમેકર પ્રોડ્યુસર રાજ કૌશલને ગુમાવી દીધા. તેઓ મારી પહેલી ફિલ્મ માઈ બ્રધર નિખિલના પ્રોડ્યુસરોમાંથી એક હતા. તેઓ એ લોકોમાંથી એક હતા જેમણે અમારા વિઝન ઉપર વિશ્વાસ મુક્યો અને અમને સહકાર આપ્યો હતો. ભગવાન એમની આત્માને શાંતિ આપે.’
રાજ કૌશલ એક ફિલ્મ નિર્માતા તેમજ સ્ટંટ ડિરેક્ટર હતા. તેમણે ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૯ ના રોજ મંદિરા બેદી સાથે લગ્ન કર્યા હતા. રાજ કૌશલ અને મંદિરા બેદીને બે બાળકો છે.
રાજ કૌશલે તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ અભિનયથી કરી હતી પરંતુ બાદમાં તેઓ ફિલ્મ નિર્માતા બન્યા હતા. તેમણે તેમની કારકિર્દીમાં ત્રણ ફિલ્મો બનાવી જેમાં 'પ્યાર મેં કભી કભી', 'શાદી કા લડ્ડુ' અને 'એન્થોની કૌન હૈ' સામેલ છે.
રિપોર્ટ્સ અનુસાર, સિરિયલ 'શાંતિ' ફેમ મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત ૧૯૯૬ માં મુકુલ આનંદના ઘરે થઈ હતી જ્યાં મંદિરા બેદી ઓડિશન આપવા ગઈ હતી. તે સમયે રાજ મુકુલ આનંદનો સહાયક હતો. અહીં બંને વચ્ચે મુલાકાત થયા બાદ તેણે પ્રેમનું રૂપ લીધું અને બંનેએ ૧૯૯૯માં લગ્ન કરી લીધા હતા.
તેમને બે બાળકો છે. ૧૯ જૂન,૨૦૧૧ ના દિવસે મંદિરાએ દીકરા વીરને જન્મ આપ્યો હતો. તેમજ ગત વર્ષે મંદિરા અને રાજે ૪ વર્ષની એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ તારા બેદી કૌશલ છે. રાજના નિધનથી બોલિવુડ શોકમય બન્યું છે અને અભિનેતાઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.