નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 27 ટકાનો વધારો નોંધાયો છે. જેની સાથે આજે નવા 2 લાખ 47 હજાર 417 કેસ નોંધાયા છે. બુધવારે 24 કલાકમાં નવા 1 લાખ 94 હજાર 720 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં આંકડો અઢી લાખની નજીક પહોંચી ગયો છે.
ભારતમાં કોરોનાના કેસ એટલા ઝડપથી વધી રહ્યા છે કે માત્ર 16 દિવસમાં દૈનિક કોરોનાના કેસ 39 ગણા વધી ગયા હતા. 28 ડિસેમ્બરના રોજ દેશમાં 6,358 નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજાર કેસ નોંધાવા ઉપરાંત 84,825 લોકો સાજા પણ થઇ ગયા છે. જેની સાથે રિકવરી રેટ 95.59 ટકા ઉપર પહોંચ્યો છે. તદુપરાંત, 24 કલાકમાં 380 કોરોના દર્દીઓના મોત પણ નોંધાયા હતા.
હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11,17,531 જેટલી છે. જે કુલ કેસના 3.08 ટકા છે. દૈનિક પોઝીટિવીટી રેટ 13.11 ટકા તો અઠવાડિક રેટ 10.80 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી 3,47,15,361 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા પાંચ હજાર પાર થઇ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના 5,488 કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર 1,281 કેસ સાથે અને રાજસ્થાન 645 કેસ સાથે સૌથી ઉપર છે. ત્યારબાદ દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479, કેરળમાં 350 અને પશ્ચિમ બંગાળમાં 294 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત યુપીમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185 અને હરિયાણામાં 162 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં હાલ ઓમિક્રોનના 3,063 એક્ટિવ કેસ છે. કુલ દર્દીઓમાંથી 1,805 લોકો સાજા થઇ ચૂક્યા છે.