વિદેશ જતી અભિનેત્રીને અધિકારીઓએ એરપોર્ટ પર જ અટકાવી, ખંડણીના કેસમાં ચાલી રહી છે તપાસ
મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને રવિવારે (5 ડિસેમ્બર) મુંબઈ એરપોર્ટ પર દેશ છોડતા અટકાવવામાં આવી હતી, જેના માટે તેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અભિનેત્રીને ઈડીએ દુબઈ જતાં અટકાવી એરપોર્ટ પર જ રોકી લીધી હતી. ઇડી છેલ્લા ઘણાં સમયથી જેકલીન અને 200 કરોડ રૂપિયાના માની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરના કનેક્શન અંગે તપાસ કરી રહ્યું છે.
ઈડીએ તાજેતરમાં 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સાત હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર તેની પત્ની લીના મારિયા પોલી અને અન્ય છ વ્યક્તિઓ સામે ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર ચંદ્રશેખરે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જેક્લીનને દસ કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. જેમાં બાવન લાખ રૂપિયાનો ઘોડો અને નવ લાખ રૂપિયાની કિંમતની પર્શિયન બિલાડીનો સમાવેશ થાય છે. તેણે કથિત રીતે રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે.
આ વર્ષે ઓક્ટોબરમાં ED દ્વારા પૂછપરછ દરમિયાન સુકેશે અધિકારીઓ સમક્ષ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે અનેક સેલિબ્રિટીઓને કરોડોની ભેટ આપી છે. જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવતા સુકેશે બોલીવૂડની અન્ય એક અભિનેત્રી નોરા ફતેહીને (Nora Fatehi) એક વૈભવી કાર અને મોંઘો મોબાઇલ ફોન પણ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઇડીએ દિલ્હીની એક અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જે અનુસાર સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં બંધ હતો એ દરમ્યાન એક ઉદ્યોગપતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. ચાર્જશીટમાં જેકલીન અને નોરા ફતેહી બન્નેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બન્ને અભિનેત્રીઓની આ સંદર્ભે ઇડીએ પૂછપરછ પણ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સુકેશ અને જેકલીન (Jacqueline Fernandez) વચ્ચે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં વાતચીત શરૂ થઇ હતી. ત્યાર બાદ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને મોંઘી ગીફ્ટ મોકલવાનું શરૂ કરી દીધું હતું. તપાસ એજન્સીઓ અનુસાર સુકેશ જ્યારે જેલમાં બંધ હતો ત્યારે પણ તેની જેકલીન સાથે વાતચીત થતી રહેતી.
જામીન મળ્યા બાદ સુકેશે જેકલીન માટે મુંબઇથી દિલ્હી અને દિલ્હીથી ચેન્નાઇ માટે ચાર્ટર્ડ ફલાઇટ પણ બુક કરી હતી. આ ઉપરાંત બન્ને ચેન્નાઇની એક હોટલમાં પણ રોકાયા હતા. એવું પણ કહેવાય છે કે ચાર્ટર્ડ ફલાઇટ પર આઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસની ઇકોનોમિક ક્રાઈમ બ્રાન્ચે ઓગસ્ટમાં આ મામલે એક FIR નોંધી હતી. ચંદ્રશેખર સામે દેશભરમાં ઘણા કેસ ચાલી રહ્યા છે. ઇડીએ પોલીસની FIRને આધારે ગુનો નોંધ્યો હતો. સુકેશ સામે એવો આરોપ છે કે, તેણે ગૃહ મંત્રાલયના એક અધિકારી બનીને ઉદ્યોગપતિની પત્નીને છેતરી હતી અને તેની પાસેથી ખંડણી પડાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp