નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સંસદનું આગામી ચોમાસું સત્ર (Monsoon session) ક્યારે મળશે તે અંગે આજે લોકસભા અધ્યક્ષે (Loksabha Speaker) સ્પષ્ટતા કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના (Om Birla) જણાવ્યા અનુસાર, આગામી ૧૯ જુલાઈથી ૧૩ મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલશે. તેમણે કહ્યું કે આ દરમિયાન કોરોનાના નિયમોનું (Corona Protocols) કડક પાલન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે જેમને કોરોના રસી ન મળી હોય તેમને સત્ર દરમિયાન સંસદના પરિસરમાં પ્રવેશતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવા કહેવામાં આવશે. સંસદ ભવન સંકુલમાં પત્રકાર પરિષદને (Press Conference) સંબોધતા બિરલાએ કહ્યું કે 323 સાંસદો કોરોના રસીના બંને ડોઝ લઇ ચુક્યા છે, જ્યારે 23 સાંસદો કેટલાક તબીબી કારણોસર રસીનો પ્રથમ ડોઝ પણ લઈ શક્યા નથી.
બંને ગૃહોની બેઠક સાથે શરૂ થશે
લોકસભા સ્પીકરે ઉમેર્યું કે બંને ગૃહોની (લોકસભા અને રાજ્યસભા) બેઠક સવારે ૧૧ વાગ્યે એકસાથે શરૂ થશે. સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ રહ્યું છે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થતું ચોમાસું સત્ર કોરોનાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. 17 મી લોકસભામાં અત્યાર સુધી 5 સત્રોમાં 114 બેઠકો થઈ છે, જે 15 મી અને ૧૬મી લોકસભા કરતા વધુ છે.
લોકસભા અધ્યક્ષે કહ્યું કે 17 મી લોકસભાના ત્રણ સત્રો કોવિડ મહામારીના સમય દરમિયાન યોજાયા હતા, તેમ છતાં કામની ઉત્પાદકતા વધુ રહી. ચોથા સત્રની 167% ઉત્પાદકતા એ નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે કોવિડના પડકારોનો સામનો કરતા પણ સાંસદોએ તેમની બંધારણીય જવાબદારી પૂરી કરી, તેમનો આભાર.
તેમણે કહ્યું કે સભ્યો માટે ગૃહની અંદર સામાજિક અંતર જળવાય તે રીતે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, કોવિડ રસીકરણ કરાવનારા સાંસદો, મીડિયાના પત્રકારો અને મંત્રાલયના અધિકારીઓ માટે RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રહેશે નહીં. પરંતુ જેમણે કોરોના રસીના ડોઝ નથી લીધા, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવા પડશે. તેમજ સત્ર દરમિયાન મુલાકાતીઓની પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
કયા બિલ રજૂ થશે?
સંસદના આ સત્રમાં લગભગ ૪૦ બિલ રજૂ કરવામાં આવી શકે છે. ઉપરાંત પાંચ અધ્યાદેશોને પણ બિલ તરીકે રજૂ કરવામાં આવશે. માતા-પિતા અને સિનીયર સિટીઝનના ભરણપોષણ અને કલ્યાણ (સુધારા) બીલ, જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની દેખરેખ અને સંરક્ષણ) બિલ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ વગેરે આ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
ઉપરાંત, લોકસભા અધ્યક્ષે એ પણ જણાવ્યું કે નવું સંસદ ભવન ક્યાં સુધીમાં બનીને તૈયાર થઇ જશે. લોકસભા સ્પીકરના જણાવ્યા અનુસાર, નવેમ્બર,૨૦૨૨ નું સત્ર નવા સંસદ ભવનમાં યોજી શકાશે. જેથી દોઢ વર્ષમાં ભવન બનીને તૈયાર થઇ જાય તેવી ગણતરી છે. તેમણે કહ્યું કે, નિર્માણ માટે નિર્ધારિત સમયથી માત્ર ૧૦ દિવસ પાછળ ચાલી રહ્યા છીએ, જેને આગામી દિવસોમાં કવર-અપ કરી લઈશું અને ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં નવું સંસદભવન તૈયાર થશે જશે. નોંધવું મહત્વનું છે કે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ ભવનનું કામ ચાલી રહ્યું છે.