નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) વડા શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા છે. આજે દિલ્હીમાં પીએમ મોદી અને શરદ પવાર વચ્ચેની અચાનક બેઠકને કારણે રાજકીય વર્તુળોમાં ફરી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની આ બેઠક લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે ટ્વીટ કરીને આ બેઠકની પુષ્ટિ કરી છે. PMO એ તસવીર સાથે ટ્વીટ કર્યું, 'રાજ્યસભાના સાંસદ શરદ પવાર નરેન્દ્ર મોદીને મળ્યા.' આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા એવી ખબરો વહેતી થઇ હતી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય શકે છે. જોકે, એનસીપીના વડાએ આ વાતોની સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
મુલાકાત અંગે શરદ પવારે શું કહ્યું?
મુલાકાત બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદી સાથે કોઈ પણ રાજનીતિક ચર્ચા કરી ન હતી. તેમણે કહ્યું કે રવિવારે સર્વપક્ષીય બેઠક પહેલા તેમણે વડાપ્રધાન સાથે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પણ ચર્ચા કરી હતી.
શરદ પવારે આ પહેલા પીએમ મોદીને પત્ર લખીને કહ્યું હતું કે સહકારી બેંકોનું અસ્તિત્વ સુરક્ષિત રહેવું જોઈએ. શનિવારે પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન શરદ પવારે કહ્યું કે તેમણે સહકારી બેંકો વિશેના પત્રના સંદર્ભમાં સમય માંગ્યો છે.
એનસીપી ચીફ શરદ પવારની વડાપ્રધાન સાથેની આ મુલાકાત બાદ અને રાજકીય તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ પહેલા ગઈકાલે રક્ષામંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ શરદ પવારને મળ્યા હતા.
નોંધનીય છે કે, 19 જુલાઇથી ચોમાસું સત્ર શરૂ થતાં પહેલાં શુક્રવારે પિયુષ ગોયલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના નેતા આનંદ શર્મા અને એનસીપી નેતા શરદ પવાર સહિત અન્ય વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સંસદના સત્ર પૂર્વે વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સાથે ગોયલની બેઠકોને વિપક્ષી પક્ષોનો સહયોગ મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની છે. આ સત્રમાં સરકારે 17 નવા બિલ રજૂ કરવાની તૈયારી કરી છે. તેમાંથી ત્રણ બિલ છે જે સરકાર વટહુકમની જગ્યાએ રજૂ કરશે છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદો આ સત્રમાં વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેના ખાનગી બિલ પણ રજૂ કરશે.