મૌની અમાસે મચેલી અફરાતફરીને લઈને નવા રિપોર્ટમાં દાવો- મહાકુંભમાં 37 નહીં આટલા લોકોના થયા હતા મોત
Maha Kumbh 2025 Stampede: પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મૌની અમાસના અવસર પર થયેલી અફરાતફરીને લઈને એક મોટો ખુલાસો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, સંગમ નોઝ પર થયેલી અફરાતફરીમાં 37 લોકોના મોત થયા હતા. ત્યારબાદ તેમના પરિવારોને 25-25 લાખનું વળતર આપવામાં આવ્યું છે. જોકે, હવે એક નવા અહેવાલમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે.
BBC હિન્દીના અહેવાલ મુજબ, તે દિવસે ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા હતા. તેમાંથી 26 પરિવારો એવા મળ્યા, જેમણે ભાગદોડમાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા, પરંતુ તેમના નામ મૃતકોની યાદીમાં સામેલ નહોતા કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મહાકુંભને પોતાન મોટી ઉપલબ્ધિ તરીકે તરીકે બતાવતી રહી છે.
પોતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે માહિતી આપતા 37 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. નવા અહેવાલ મુજબ, 50થી વધુ જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસમાં, 100થી વધુ એવા પરિવારો મળી આવ્યા જેમણે ભાગદોડમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. તેમાંથી 82 પરિવારો તેના નક્કર પુરાવા આપી શક્યા છે.
રિપોર્ટ મુજબ, મૌની અમાસના દિવસે મહાકુંભમાં 4 જગ્યાએ અફરાતફરી મચી હતી. જેમાં લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી યોગીના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા 37માંથી 35 લોકોને 25-25 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ચેક દ્વારા આપવામાં આવી હતી.
BBCના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ દરમિયાન, 26 પરિવારો એવા મળી આવ્યા હતા, જેમને 5 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. તેમની પાસે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ રકમ આપતા વીડિયો અને ફોટા પણ છે. તેમાંથી ઘણા પરિવારોએ દાવો કર્યો હતો કે, તેમને બળજબરીપૂર્વક એવા કાગળો પર સહી કરાવવામાં આવી, જેના પર અચાનક તબિયત બગડવાને મોત થવાની વાત કહેવામાં આવી હતી. આ ઉપરાંત, તપાસમાં 19 વધુ એવા પરિવારો પણ મળી આવ્યા, જેમને 5 લાખ રૂપિયા પણ મળ્યા નથી.
BBCના અહેવાલમાં, મહાકુંભમાં માર્યા ગયેલા 82 મૃતકોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાંથી, પ્રથમ શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેમને 25 લાખ રૂપિયા મળ્યા હતા, બીજી શ્રેણીમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જેમને 5 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા, જ્યારે ત્રીજી શ્રેણીમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જેમને કોઈ આર્થિક સહાય મળી નહતી. 5 લાખ રૂપિયા આપવામાં આવેલા લોકોમાં, 18 ઉત્તર પ્રદેશના, 5 બિહારના, 2 પશ્ચિમ બંગાળના અને એક ઝારખંડનો પરિવાર છે. આ બધાને કેશ આપવામાં આવ્યા હતા. આ પૈસા કાયદેસર રીતે આપવામાં આવ્યા હોવાનો કોઈ સંકેત નથી.
ત્રીજી શ્રેણીમાં 19 મૃતકોના પરિવારોનો સમાવેશ થાય છે, જેમને સરકાર તરફથી કોઈ સહાયતા મળી નથી. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકોની સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે. અફરાતફરીમાં પામેલા તમામ 82 લોકોના મોતના મજબૂત પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓ પણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp