Sohari Leaf: PM મોદીએ સોહારીના પાનમાં ખાધું ભોજન, જાણો કેવી રીતે ભારતીય વારસાનું કેરેબિયન પ્રતિક છે આ પાંદડું
PM served food on Sohari leaf: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ સુધી સત્તાવાર યાત્રા પર છે. છેલ્લા 10 વર્ષમાં આ વડાપ્રધાનનો સૌથી લાંબો કૂટનીતિક પ્રવાસ હોવાનું કહેવાય છે. આ દરમિયાન, તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયામાં વિવિધ દ્વિપક્ષીય, બહુપક્ષીય અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. તાજેતરમાં જ વડાપ્રધાન ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા એક ખાસ રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ મહત્ત્વપૂર્ણ રાત્રિભોજનમાં એક ખાસ મેનુ હતું, પરંતુ જે વસ્તુએ લોકોની નજર સૌથી વધુ ખેંચી તે હતી મોટા લીલા ‘સોહરી પાન’, જેના પર ભોજન પીરસવામાં આવતું હતું. વડાપ્રધાન મોદીએ પાછળથી X પર શેર કર્યું કે સોહરી પાન ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. આ પરંપરાગત પાન ત્યાંની સંસ્કૃતિનો એક હિસ્સો છે અને ખાસ પ્રસંગોએ તેનો ઉપયોગ થાય છે. ચાલો જાણીએ કે આ પાન શા માટે ખાસ છે.
સોહરી પાન એક મોટું અને પહોળું પાન હોય છે જે કેળાના પાન જેવું દેખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કેલેથિયા લુટીઆ છે અને તે કેરેબિયનના ભેજવાળા અને ગરમ વિસ્તારોમાં જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં બિજાઓ અથવા સિગાર પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. આ છોડ લગભગ 3 મીટર ઊંચો છે અને તેના પાંદડા લગભગ 1 મીટર લાંબા છે. ત્યાંના લોકો આ પાંદડાઓનો ઉપયોગ ભોજનને લપેટવા અથવા પીરસવા માટે પ્લેટ તરીકે કરે છે. ત્રિનિદાદના ગરમ અને ભેજવાળા હવામાનમાં આ પાંદડા ખૂબ ઉપયોગી છે કારણ કે જ્યારે ગરમ ખોરાક જેમ કે ભાત, કઢી પીરસવામાં આવે છે ત્યારે તે ટપકતા નથી કે ફાટતા નથી. ઉપરાંત, તે કુદરતી અને પર્યાવરણને અનુકૂળ હોય છે.
ત્રિનિદાદમાં ખોરાક પીરસવા માટે સોહરી પાનનો ઉપયોગ કરવા પાછળ એક ગાઢ સાંસ્કૃતિક મહત્ત્વ છે. ‘સોહરી’ શબ્દ ભોજપુરી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ ‘દેવતાઓનું ભોજન’ થાય છે. અગાઉ આ શબ્દનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં હિન્દુ પૂજારીઓને ચઢાવવામાં આવતી ઘી લાગેલી રોટલી માટે થતો હતો. સમય જતા આ રોટલી પીરસવા માટે ઉપયોગ થતા મોટા પાન પણ 'સોહરી' કહેવાવા લાગ્યા.
આજે પણ દિવાળી જેવા તહેવારો પર ભાત, શાકભાજી, મીઠાઈ જેવા આખા ભોજનને આ સોહરી પાન પર પીરસવામાં આવે છે. આ પરંપરા ભારતીય સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરવાનો એક માર્ગ છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના પૂર્વજો ભારતથી ત્રિનિદાદ ગયા હતા.
વડાપ્રધાને ભોજન પીરસવા માટે સોહરી પાનનો ઉપયોગ માત્ર સ્થાનિક પરંપરા અથવા પર્યાવરણીય સંરક્ષણનો સંદેશ નહોતો પરંતુ તે ભારતીય મૂળના લોકોનું સન્માન કરવાનો પણ એક માર્ગ હતો. ત્રિનિદાદ અને ટોબેગોની લગભગ 42 ટકા વસ્તી ભારતીય મૂળની છે, જેમના પૂર્વજો 1845-1917 વચ્ચે મજૂર તરીકે ત્યાં પહોંચ્યા હતા. સોહરી પાનનો ઉપયોગ ત્યાં રહેતા ભારતીયોને જૂની પરંપરાઓની યાદ અપાવે છે અને ભારત અને ત્રિનિદાદ વચ્ચે સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે. તે કોઈ સાદું પાન નથી, પરંતુ સંસ્કૃતિ, વારસો અને જોડાણનું પ્રતિક છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp