રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની રેસમાં આ નામો છે સૌથી આગળ, ઘણી અગ્રણી હસ્તીઓ પણ છે યાદીમાં સામેલ
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારથી શરૂ થયેલી પ્રક્રિયાના પ્રથમ દિવસે 11 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પંચે નામાંકન ભરવાની પ્રક્રિયા 29 જૂન સુધી સીમિત રાખી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના હોબાળા વચ્ચે બુધવારે વિપક્ષે બેઠક યોજી હતી, જેમાં ઉમેદવારના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવ્યું હતું. બીજી તરફ સત્તાધારી ભાજપ વતી રાજનાથ સિંહ ઉમેદવારના નામ પર સર્વસંમતિ સાધવા માટે વિપક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે.
રાજનાથ સિંહે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડીના વડા નવીન પટનાયક અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે પણ વાત કરી છે. રક્ષા મંત્રીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ વાત કરી હતી. અહેવાલો અનુસાર, રાજનાથ સિંહ એનસીપીના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.
દિલ્હી કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બુધવારે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિરોધ પક્ષો વતી શરદ પવારનું નામ આગળ કરવા પર સહમતિ જોવા મળી હતી. જોકે, શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ઉમેદવાર નહીં બને. પવારના ઈનકાર બાદ વિપક્ષ નવા નામની શોધમાં છે.
વિપક્ષની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, શરદ પવાર પોતે તેમના નામ માટે સંમત થાય તો સારું રહેશે. અન્યથા સંયુક્ત ઉમેદવારના નામની વિચારણા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, બેઠકમાં ફારુક અબ્દુલ્લાના નામ પર પણ ચર્ચા થઈ હતી. જોકે, ઓમર અબ્દુલ્લાએ તેમના નામનો વિરોધ કર્યો હતો. ઉમરે કહ્યું કે આમાં તેમના નામની ચર્ચા ન થવી જોઈએ. જે માહિતી સામે આવી રહી છે તે મુજબ મમતાએ બેઠકમાં બે નામ સૂચવ્યા હતા. તેમાં પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી અને બીજું નામ ફારુક અબ્દુલ્લા છે.પરંતુ આ નામો પર કોઈ ચર્ચા થઈ નથી. ઉમેદવાર ફાઇનલ કરવા માટે વિપક્ષી નેતાઓ 21મી જૂને ફરી બેઠક કરશે તેમ જાણવા મળે છે.
વિપક્ષની બેઠકમાં તે સંયુક્ત ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષો સત્તાધારી ભાજપના ઉમેદવાર સામે મજબૂત ઉમેદવાર ઊભો કરવા સંમત થયા છે. વિપક્ષની બેઠક બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર યોજાનારી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે જે વાસ્તવમાં બંધારણના રક્ષક હોય તેમજ મોદી સરકારને ભારતીય લોકશાહી અને ભારતના સામાજિક માળખાને વધુ નુકસાન પહોંચાડવાથી રોકી શકે."
અહીં જણાવી દઈએ કે, ચૂંટણી પંચે 18મી જુલાઈએ યોજાનારી 16મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ 29 જૂન સુધી નોમિનેશન ફાઇલ કરી શકાશે અને 30 જૂને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. 18મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે.
વિપક્ષની સાથે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પણ તેના ઉમેદવારો અંગે મૌન સેવ્યું છે. જ્યારે ભાજપ રાષ્ટ્રપતિ કોવિંદને બીજી મુદત માટે ફરીથી નોમિનેટ કરે તેવી શક્યતા નથી, અન્ય ઘણા ઉમેદવારો વિશે અટકળો ચાલી રહી છે. કેટલીક અગ્રણી હસ્તીઓ છે જેઓ ચૂંટણી લડવા અને દેશના આગામી રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટાય તેવી સંભાવના છે.
- આરીફ મોહમ્મદ ખાન
- દ્રૌપદી મુર્મુ
- અનુસુયા ઉઇકે
- તમિલસાઈ સુંદરરાજન
-સુમિત્રા મહાજન
- મુખ્તાર અબ્બાસ નકવી
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp