આ તો દીકરી કે હેવાન?! સગી જનેતાને 17 ઘા મારીને પતાવી દીધી! જાણીને ક્રોધ ચડી જાય એવું કારણ
Junagadh Murder : હજી ગઈકાલે દિલ્હીમાં યુવાને કરેલી તરુણીની ક્રૂર હત્યાના સમાચારોની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે જ બીજો એક એવો જ જઘન્ય બનાવ ગુજરાતમાં બની ગયો! આ કિસ્સામાં સૌથી આઘાતજનક વાત એ છે કે અહીં ખુદ દીકરીએ પોતાની જનેતાને ઉપરાછાપરી 17 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે!
બનાવની જાણવા મળતી વિગત એવી છે કે જૂનાગઢ નજીક આવેલા ઇવનગર ગામમાં દક્ષાબેન અને ગોવિંદભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા સાતેક વર્ષથી રહે છે. આ દંપત્તિને સંતાનોમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. ગત 27 મે ના રોજ દક્ષાબેન બામણીયાની લોહીલુહાણ લાશ એમના પોતાના જ ઘરમાંથી મળી આવી હતી. આથી પોલીસને નજીકની જ કોઈ વ્યક્તિ ઉપર શંકા હતી. વળી હત્યા થઇ એ સમયે ત્રણેય સંતાનો ઘરમાં હાજર હતા, એટલે ઘરના જ કોઈકે હત્યા કરી હોવાની પોલીસની શંકા પાકી થઇ ગઈ. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા પરિવારની મોટી દીકરી મીનાક્ષી (ઉ,વ. 19) ઉપર શંકા ગઈ હતી. પોલીસે એ દિશામાં વધુ તપાસ કરતા આ શંકા સાચી ઠરી હતી. મીનાક્ષીએ જ પોતાની સગી માતા દક્ષાબેનના માથામાં લોખંડના પાનાના ઉપરાછાપરી 17 ઘા મારીને એની હિચકારી હત્યા કરી હતી!
પોલીસે મીનાક્ષી બામણીયાની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે મીનાક્ષીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મીનાક્ષી આ યુવકને મળતી હતી. અગાઉ એક વખત એ યુવક સાથે ઝડપાઈ ગઈ, ત્યારે પણ પરિવારે એણે સમજાવી હતી. પરંતુ એ પછી પણ મીનાક્ષીએ એ યુવક સાથે મળવાનું ચાલુ રાખતા એની માતા દક્ષાબેને ખૂબ ઠપકો આપ્યો હતો. બનાવની રાતે એ યુવક મીનાક્ષીને મળવા આવનાર હતો. આથી આ પ્રેમ સંબંધમાં માતા ફરીથી આડખીલીરૂપ ન બને એ માટે થઈને ઝનૂને ચડેલી મીનાક્ષીએ અત્યંત ક્રૂર રીતે સગી જનેતાનું કાસળ કાઢી નાખ્યું હતું!
પોલીસ તપાસમાં મીનાક્ષી ભાંગી પડી હતી, અને પોતે જ હત્યા કર્યાની વાત કબૂલી લીધી હતી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે મીનાક્ષીનો પ્રેમી એવો પેલો યુવાન પણ હત્યાને અંજામ આપવામાં ભાગીદાર હતો કે કેમ!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp