એક એવો સંગીતકાર જે નૈરોબીમાં જન્મ્યો, અને ભારત પર છવાઈ ગયો

એક એવો સંગીતકાર જે નૈરોબીમાં જન્મ્યો, અને ભારત પર છવાઈ ગયો

08/03/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

એક એવો સંગીતકાર જે નૈરોબીમાં જન્મ્યો, અને ભારત પર છવાઈ ગયો

બાજુ ઓછાને ખબર હશે કે પ્રસિદ્ધ ટીવી શ્રેણી રામાયણનું સંગીત પણ આ જ સંગીતકારે આપેલું.

હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ. ખૂબ ઓછું પણ ખુબ ગણવત્તાવાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’  અને ‘અનકહી’ માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયે’ કે ‘દૂરિયાં’ ના ગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.

કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરે ઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીને મોટી કરી તેમના લગ્ન સતપાલવર્મા સાથે કરાવીને જયદેવ લખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.

અલી અકબરખાન સાહેબે ચેતન આનંદની ‘આંધિયાં’ અને ‘હમ સફર’ ફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’માં જયદેવ સચિનદેવ બર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને ‘જોરુ કા ભાઈ’ અને ‘અંજલિ’ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની ‘હમ દોનો’ અને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા.રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફીસાહેબના બે યાદગાર સોલો ‘મૈ ઝીંદગી કા સાથ નિભાતાચલા ગયા’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ આપણને અહીં મળ્યાં. તો રફી-આશાના ‘અભીના જાઓ છોડ કર’ અને ‘અધૂરી આશ-પ્યાસ છોડકર’ જેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત ‘જહાં મેં ઐસા કૌન હૈ’ અને લતાજીના બે સોલો ગીતો ‘અલ્લા તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ જેવી યાદગાર રચનાઓ જયદેવે ‘હમ દોનો’માં આપી હતી.

સુનીલ દત્તની ફિલ્મ ‘મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયા પડું’, તો રફીસાહેબ ગાતા હતા ‘અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ’ પણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત ‘રાત ભી હૈ કુછ ભીગીભીગી’ તો યાદગાર બન્યું.


મુઝફ્ફરઅલીની ૧૯૭૮ની યાદગાર ફિલ્મ ‘ગમન’ માટે જયદેવે સહરયાર અને મકદૂમ મોહ્યુદ્દીનની યાદગાર રચનાઓ સ્વરબદ્ધ કરીને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. જેમાં ‘આપ કી યાદ આતી રહી રાતભર’ ગાવા માટે છાયા ગાંગુલીને પણ શ્રેષ્ઠ ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેશ વાડકરે ગાયેલું ‘સિને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ’ અને હરીહરનનું ‘અજીબ સનેહા મુજ પર ગુજર ગયા’ ખુબ સારા હતાં તો હીરા દેવી મિશ્રાએ ગયેલી ઠુમરી ‘રસ કે ભરે તોરે નૈન’ પણ યાદગાર રહી. અમોલ પાલેકરની‘અનકહી’ (૧૯૮૫)માં જયદેવે પંડિત ભીમસેન જોષી પાસે ભજન ગવડાવ્યાં, ‘ઠુમક ઠુમક પગ કુમળ’ અને ‘રઘુવર તુમ તો મેરી લાજ’ બહુ સુંદર બન્યાં, તો દીપ્તિ નવલ માટે આશાજીએ પણ બે ભજન ગાયા, ‘મુજકો ભી રાધા બના લે નંદલાલ’ અને ‘કૌનો ઠગવા નંદલાલ’. ‘અનકહી’ માટે જયદેવજીને શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ મળ્યો. તેજ રીતે અમદાવાદમાં શૂટ થયેલી સુંદર ફિલ્મ ‘પરિણય’માં શર્માબંધુઓ પાસે જયદેવે યાદગાર ભજન ગવડાવ્યું, ‘જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો મીલ જાયે તરુવર કી છાયા’.

જયદેવની ઘણી ફિલ્મો સફળ થઇ નહોતી પણ તેમના સંગીત નાવીન્યને કારણે ‘આલાપ’, ‘કિનારે કિનારે’ કે ‘અનકહી’ યાદગાર બની. પારંપરિક સંગીતને લોક સંગીત સાથે ભેળવીને તેઓ કસબ કરતા. હરિવંશરાયની કવિતા ‘મધુશાલા’ના મન્નાડે એ ગયેલા આલબમ માટે જયદેવને ખ્યાતિ મળી. જયદેવ લતાજીના પણ માનીતા સંગીતકાર રહ્યા.

જયદેવે લગ્ન નહોતા કર્યા. પોતાની બેનના પરિવાર સાથે જ રહ્યા. પોતાના અંતિમ કાર્ય રૂપે ટીવી શ્રેણી ‘રામાયણ’નું સંગીત તેમણે આપ્યું હતું. ૬ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ ૬૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.

 

જયદેવના યાદગાર ગીતો :

અલ્લા તેરો નામ, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, અભી ના જાઓ છોડ કે (હમ દોનો), રાત ભી હૈ કુછ ભીગી ભીગી (મુઝે જીને દો), રઘુવર તુમ તો મેરી લાજ (અનકહી), તૂ ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા), આપ કી યાદ આતી રહી રાતભર (ગમન), જૈસે સૂરજ કી ગરમી સે (પરિણય), યે દિલ ઔર ઉનકી (પ્રેમ પર્વત), એક અકેલા ઇસ શહર મેં (ઘરોંદા), ચાંદ અકેલા (આલાપ).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top