અફઘાનિસ્તાન ભારત સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે, તાલિબાન સરકારે કહી મોટી વાત
ભારત અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેના સંબંધો મજબૂત થતા જણાય છે. દુબઈમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે. આ બેઠક બાદ તાલિબાન સરકારે કહ્યું છે કે ભારત એક મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આર્થિક શક્તિ છે.
ભારત અને અફઘાનિસ્તાન સંબંધ:
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું છે કે ભારત એક 'મહત્વપૂર્ણ' પ્રાદેશિક અને આર્થિક શક્તિ છે. બુધવારે દુબઈમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચેની વાતચીત બાદ તાલિબાનની ટિપ્પણીઓ આવી છે. ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ બંને દેશો વચ્ચે યોજાયેલી પ્રથમ જાહેર ઉચ્ચ-સ્તરીય બેઠકમાં મિસરી અને મુત્તાકીએ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે મુત્તાકીએ "માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ." તેઓએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે રાજદ્વારી સંબંધોને વેગ આપવા માટે ભારત તેના વેપારીઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓને વિઝા સુવિધા પૂરી પાડશે.'' નિવેદનમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનના વાણિજ્ય અને પરિવહન મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહિત કરવાના પગલાં પર વ્યાપક ચર્ચા થઈ હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં ભારતીય પક્ષે જણાવ્યું હતું કે નવી દિલ્હી અફઘાનિસ્તાનમાં વિકાસ પરિયોજનાઓમાં સામેલ થવા અને આરોગ્ય ક્ષેત્રે દેશને વધારાની સામગ્રી સહાય પૂરી પાડવા અંગે વિચારણા કરશે. મંત્રાલયે બુધવારે કહ્યું કે અફઘાન પક્ષની વિનંતીના જવાબમાં, ભારત સૌ પ્રથમ સ્વાસ્થ્ય ક્ષેત્ર અને શરણાર્થીઓના પુનર્વસન માટે વધારાની સામગ્રી સહાય પૂરી પાડશે.
ચાબહાર પોર્ટને લઈને સર્વસંમતિ સધાઈ
મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયના હેતુ સહિત વેપાર અને વ્યાપારી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ચાબહાર બંદરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સંમત થયા હતા. અફઘાનિસ્તાને કહ્યું કે ભારતીય પક્ષે જણાવ્યુ કે તે ચાબહાર પોર્ટ દ્વારા વેપારને પ્રોત્સાહન આપવા આતુર છે. ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાની નિંદા કરી હતી જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા તેના બે દિવસ બાદ મિસરી અને મુત્તાકી વચ્ચેની વાતચીત થઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp