અમદાવાદ: અમદાવાદ સ્થિત બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ (Babasaheb Ambedkar Open University) માસ્ટર ડિગ્રીમાં કેટલાક નવા કોર્સ ઓફર કર્યા છે. જેથી ગુજરાતના માસ્ટર ડિગ્રી ડિસ્ટન્સ લર્નિંગના (Distance learning) માધ્યમથી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પસંદગીનો વ્યાપ મળી શકશે.
હમણાં સુધી આંબેડકર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને કોર્સ પસંદગી માટે ખૂબ માર્યાદિત વિષયો જ મળી શકતા હતા. જેમાં માસ્ટર ઓફ આર્ટસ ઈન સોશિયોલોજી, માસ્ટર ઓફ આર્ટ્સ ઈન ગુજરાતી, માસ્ટર ઓફ આર્ટ્સ ઈન ઇંગ્લિશ, માસ્ટર ઓફ આર્ટ્સ ઈન હિન્દી, માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને માસ્ટર ઓફ લાઈબ્રેરી સાઈન્સ જેવા વિષયો ઉપલબ્ધ હતા. જ્યારે અન્ય વિષયો માત્ર ડિપ્લોમા કે બેચલર ડિગ્રી પૂરતા સિમીત હતા.
પરંતુ નવા ઉમેરાયેલા કોર્સ મુજબ હવે આંબેડકર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસકોમ્યુનિકેશન (Journalism and Mass communication), માસ્ટર ઓફ કોમર્સ, એમ.એસ.સી. (આઈટી) પણ કરી શકાશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી બેચલર ડિગ્રી પણ બાહ્ય મોડથી કરવા ઈચ્છતા હોય તો બેચલર ડિગ્રીમાં અનેક વિકલ્પો પૂરા પાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ગુજરાત વિધાનસભામાં (Gujarat Vidhansabha) ૧૯૯૪માં પાસ થયેલ ખાસ ૧૪ નંબરના કાયદાથી અમદાવાદ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. જેમાં ૭૨થી પણ વધારે કોર્સમાં ૧ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. બાબાસાહેબ ઓપન યુનિવર્સીટી ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમથી વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ તેમજ ડિપ્લોમા-ડિગ્રી પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ઓફર કરે છે. હવે વધુ કોર્સ ઉમેરાવા જઈ રહ્યા છે.