Bombay High Court: BCCIને લાગ્યો ઝટકો, IPLની જૂની ટીમ કોચી ટસ્કર્સને આપવા પડશે 539 કરોડ રૂપિયા; જાણો શું છે મામલો
Bombay HC upholds arbitration order orders BCCI to pay Kochi Tuskers 538 crore: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2011માં IPL ટીમ કોચી ટસ્કર્સ કેરળને ટર્મિનેટ એટલે કે બહાર કરી દીધી હતી. ત્યારબાદથી, આ કેસ ટીમ માલિકો અને BCCI વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે BCCIએ ટીમ માલિકોને 539 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, કારણ કે નિયમો અનુસાર કોઈ નક્કર કારણ વિના ટીમને હટાવવામાં આવી હતી. એકંદરે વર્ષ 2011માં કોચી ટસ્કર્સ કેરળ (KTK) IPL ટીમને હટાવવા કેસમાં BCCIને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે વર્ષ 2015માં BCCI વિરુદ્ધ આપેલા નિર્ણયને અકબંધ રાખ્યો છે અને કુલ 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ ચૂકાદા મુજબ, કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (KCPL)ને 385.50 કરોડ રૂપિયા અને રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડ (RSW)ને 153.34 કરોડ રૂપિયા આપવા પડશે. કોચી ટસ્કર્સ કેરળ ટીમ માત્ર વર્ષ 2011માં IPL રમી હતી અને એ સિઝનમાં 10માંથી આઠમા નંબરે રહી હતી. એ સીઝનમાં શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્ધને આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ટીમના માલિક KCPL અને RSW હતા.
સપ્ટેમ્બર 2011માં, BCCIએ ટીમને એમ કહીને બહાર કરી હતી કે તેમણે સમય પર બેંક ગેરંટી આપી નથી. KCPL અને RSWએ 2012 માં મધ્યસ્થીની કાર્યવાહી શરૂ કરી હતી અને આ રીતે કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાને ખોટું ગણાવ્યું હતું. મધ્યસ્થી ટ્રિબ્યુનલે વર્ષ 2015માં તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેણે KCPLને વ્યાજ અને ખર્ચ સાથે 384.8 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો અને RSWને 153.3 કરોડ રૂપિયાથી વધુનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. BCCIએ આ આદેશોને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
આ કેસમાં, ન્યાયાધીશ રિયાઝ આઈ ચાગલાએ કહ્યું હતું કે, આ કેસમાં કોર્ટની શક્તિ આર્બિટેશન એક્ટના સેક્શન 34 હેઠળ ખૂબ જ મર્યાદિત છે. તેમણે એમ પણ કહ્યું કે, BCCIએ બેંક ગેરંટીનો ખોટી રીતે ઉપયોગ કર્યો, જે KCPL સાથેના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન હતું, તેથી મધ્યસ્થનો નિર્ણય સાચો હતો. BCCIને આગામી 6 અઠવાડિયામાં અપીલ કરવાની તક આપવામાં આવી છે.
કોચી ટસ્કર્સ કેરળ (KTK) હવે બંધ થઈ ગયેલી IPL ફ્રેન્ચાઇઝી હતી, જે કોચી (કેરળ) શહેરનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ ટીમને વર્ષ 2011ની IPL સીઝન માટે સામેલ કરવામાં આવી હતી, એ જ વર્ષે પુણે વોરિયર્સ ઇન્ડિયા પણ એક નવી ટીમ તરીકે આવી હતી. આ ટીમના માલિક કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ હતી, જે ઘણી કંપનીઓનું કન્સોર્ટિયમ હતું. KTKએ માત્ર એક સીઝન (2011) રમી હતી, ત્યારબાદ વર્ષ 2012માં BCCIએ આ ટીમને ટર્મિનેટ કરી દીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp