‘ન તો વિદેશથી પત્નીઓ ખરીદીને લાવો, ન બાંગ્લાદેશમાં..’, ચીનના નાગરિકો માટે એડવાઈઝરી
બાંગ્લાદેશમાં હાલમાં રાજકીય અસ્થિરતા છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યૂનુસે રાજીનામું આપવાની ધમકી આપ્યા બાદ બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાયો છે. આ દરમિયાન, બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે ચીની નાગરિકોને સલાહ આપી છે કે તેઓ કોઈ વિદેશી સાથે લગ્ન કરવા માટે સંબંધિત કાયદાઓનું કડક પાલન કરે. બાંગ્લાદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન કરવા માટે મેચમેકિંગ કરાવનારા ગેરકાયદેસર એજન્ટોથી સાવચેત રહો, અને વીડિયો પ્લેટફોર્મ પર સરહદ પાર ડેટિંગ સામગ્રીથી ગેરમાર્ગે દોરાશો નહીં. દૂતાવાસે ચીની નાગરિકોને ચેતવણી આપતા કહ્યું કે, વિદેશી પત્નીઓ ખરીદતા બચો અને ચીની નાગરિક બાંગ્લાદેશમાં લગ્ન કરતા પહેલા 2 વખત વિચારે.
હાલમાં બાંગ્લાદેશમાં મોહમ્મદ યૂનુસ સરકાર અને સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં મ્યાંમાર સરહદ પર માનવતાવાદી કોરિડોર બનાવવાની યોજના અંગે સેના અને સરકાર સામસામે છે. યૂનુસના નેતૃત્વ હેઠળની સરકારે બાંગ્લાદેશ-મ્યાંમાર સરહદ પર માનવતાવાદી કોરિડોર બનાવવા માટે અમેરિકા સાથે ગુપ્ત રીતે કરાર કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશના સેના પ્રમુખે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.
તો, બાંગ્લાદેશમાં સતત વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોથી લઈને વિરોધ પક્ષો સુધી, મોહમ્મદ યૂનુસ ચારેય તરફથી ઘેરાયેલા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવાની માગ કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓએ મહફૂઝ આસિફ અને ખલીલુર્ર રહમાન જેવા નેતાઓને સરકારમાંથી દૂર કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ તત્કાલીન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બળવા બાદ ભારત આવતા રહ્યા બાદ, 8 ઓગસ્ટના રોજ મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp