ડ્રીમલાઇનર વિવાદ: વ્હિસલબ્લોઅર્સે બોઇંગ ૭૮૭ વિમાનો 'વિનાશક' હોવાની ચેતવણી આપી હતી
બોઇંગના ૭૮૭ ડ્રીમલાઇનર વિશે અનેક વ્હિસલબ્લોઅર્સે ગંભીર સલામતી ચિંતાઓ વ્યક્ત કરી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા વિમાનના ઉત્પાદન અને એસેમ્બલી પ્રક્રિયાઓની તપાસમાં વિવિધ બાબતો સામે આવી. FAA એ ગત વર્ષે વધતી જતી ચિંતાઓના જવાબમાં બોઇંગની સુવિધાઓનું છ અઠવાડિયાનું ઓડિટ હાથ ધર્યું હતું. ઓડિટમાં ઉત્પાદન પ્રથાઓમાં અનેક મુદ્દાઓ બહાર આવ્યા હતા. ઓડિટમાં સામે આવેલ બાબતોમાં ઉત્પાદન પ્રથાઓમાં કંપનીના સલામતી માપદંડોમાં "ગાબડા"નો ઉલ્લેખ કરવામાં આવ્યો, તથા મેનેજમેન્ટ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ વચ્ચેની અણબન અને સલામતીની ચિંતાઓની જાણ કરવા બદલ બદલો લેવાનો વ્યાપક ભયનો સમાવેશ થાય છે.
કંપનીમાં ૧૭ વર્ષ સુધી કામ કરનારા બોઇંગ એન્જિનિયર સેમ સાલેહપોરે(Sam Salehpour) આરોપ લગાવ્યો છે કે ડ્રીમલાઇનરના ફ્યુઝલેજના ભાગોને અયોગ્ય રીતે જોડવામાં આવ્યા હતા. આ રીતે કરેલ અયોગ્ય જોડાણ વિમાનની સ્ટ્રકચરલ ઇન્ટેગ્રીટી સાથે છેડછાડ છે, આવું કરવાથી તેનું જીવનકાળ ઘટે છે. સાલેહપોરના જણાવ્યા મુજબ, તેમણે કામદારોને વિમાનના ભાગો પર "ટાર્ઝનની જેમ કૂદકા મારતા" જોયા હતા આમ કરીને પાર્ટ્સને બળજબરીથી ગોઠવણી કરવામાં આવતી હોઈ તેમણે ૨૦૨૦થી શરૂ થતા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વારંવાર આ પ્રથાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો દાવો છે કે તેમની ચેતવણીઓને ફગાવી દેવામાં આવી હતી અને તેમને "ચુપ રહેવા" સૂચના આપવામાં આવી હતી.
ભૂતપૂર્વ ગુણવત્તા નિયંત્રણ ઇજનેર જોન બાર્નેટે પણ બોઇંગ સેફ્ટીના મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. બાર્નેટનો આરોપ હતો કે ઉત્પાદનના દબાણ હેઠળ, કામદારો એસેમ્બલી લાઇન પર હલકી ગુણવત્તાવાળા ભાગો સ્થાપિત કરી રહ્યા હતા અને તેમણે વિમાનની ઓક્સિજન સિસ્ટમમાં ખામીઓ શોધી કાઢી હતી - જેના કારણે ફ્લાઇટમાં ચારમાંથી એક ઇમરજન્સી શ્વસન માસ્ક નિષ્ફળ જવાની શક્યતા વધી ગઈ હતી. બાર્નેટના પરિવારે તેમના મૃત્યુ પછી કેસ દાખલ કર્યો છે, જેમાં PTSD, હતાશા અને ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારનો દાવો છે જોહન બાર્નેટના PTSD, હતાશા અને ચિંતા બોઇંગના વર્તન સાથે જોડાયેલા હતા.
રિચાર્ડ ક્યુવાસ (Richard Cuevas) બોઇંગના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર - સ્પિરિટ એરોસિસ્ટમ્સના કોન્ટ્રાક્ટર, સ્ટ્રોમ દ્વારા કાર્યરત મિકેનિક છે. તેમણે ૨૦૨૩માં સ્પિરિટના કેન્સાસમાં વિચિટા શહેરના યુનિટ ખાતે ૭૮૭ એરક્રાફ્ટના ફોરવર્ડ પ્રેશર બલ્કહેડ્સમાં છિદ્રોનું અયોગ્ય ડ્રિલિંગ જોયું હોવાની જાણ કરી હતી. રિચાર્ડે ઓક્ટોબર ૨૦૨૩માં બોઇંગ અને સ્પિરિટ બંનેને "ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદન અને જાળવણી પ્રક્રિયાઓ" નો ઉલ્લેખ કરીને ફરિયાદ દાખલ કરી હતી અને ઘણા મહિનાઓ પછી આ ફરિયાદને રદ કરવામાં આવી હતી.
FAA ને સબમિટ કરાયેલી વ્હિસલબ્લોઅર ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે, જેમાંથી ઘણી ફરિયાદો ઉત્પાદન ધોરણો અને નિરીક્ષણ પ્રોટોકોલમાં થતી ખામીઓ સાથે સંબંધિત છે. જાન્યુઆરી ૨૦૨૪માં ફ્લાઇટ દરમિયાન ૭૩૭ મેક્સથી દરવાજાનો પ્લગ અલગ થઈ ગયો હતો તે ઘટના પછી, એક ડઝનથી વધુ વ્હિસલબ્લોઅર્સ આગળ આવ્યા છે. એક અહેવાલ મુજબ બોઇંગ ને આશંકા હતી કે તેમના સેવાયુક્ત વિમાનોમાં ખામીયુક્ત પૂર્જા સ્થાપિત કરવામાં આવ્યા હોવાની સંભાવના છે. આ કારણે બોઇંગે નિયમનકારોથી ખામીયુક્ત અથવા બિન-અનુપાલન ભાગો છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બોઇંગે કહ્યું છે કે તે ૭૮૭ ડ્રીમલાઇનરની સલામતી અને મજબૂતીમાં "સંપૂર્ણ વિશ્વાસ" ધરાવે છે. તેમ છતાં, વ્હિસલબ્લોઅરના દાવાઓ અને ફેડરલ દેખરેખ સંસ્થાઓના તારણો કંપનીની આંતરિક સલામતી પ્રથાઓ અને ગુણવત્તા નિયંત્રણો અંગે પ્રશ્નો ઉભા કરે છે.
અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાના ડ્રીમલાઇનરના ક્રેશ બાદ બોઇંગ ઇન્ડિયાએ ગુરુવારે એક ટૂંકું નિવેદન આપીને કહ્યું કે તે (બોઇંગ) પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બોઇંગ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "અમે શરૂઆતના અહેવાલોથી વાકેફ છીએ અને વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp