સંસદના મોનસૂન સત્રની તારીખ નક્કી, જાણો ક્યારથી ચાલુ થશે સેશન
Monsoon session of Parliament: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ, ઓપરેશન સિંદૂર અને પછી યુદ્ધવિરામ પર વિગતવાર ચર્ચાની માગ કરતાં વિપક્ષી પાર્ટીઓ સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરતી આવી રહી છે. વિપક્ષની માગ વચ્ચે, સંસદના આગામી ચોમાસુ સત્રની તારીખ હવે જાહેર થઈ ગઈ છે. ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે.
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચોમાસુ સત્રની તારીખો અંગેનો પ્રસ્તાવ મોકલ્યો છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં 21 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે ચોમાસુ સત્ર બોલાવવાની વાત કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ આ પહેલું સત્ર તોફાની રહેવાની ધારણા છે. વિપક્ષ પહેલાથી જ ઓપરેશન સિંદૂર પર વિગતવાર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી રહ્યું છે. સરકારનું કહેવું છે કે જો વિપક્ષ સંસદના આગામી ચોમાસુ સત્ર દરમિયાન નિયમો હેઠળ ચર્ચાની માગ કરે છે, તો અમે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ.
આગામી સત્ર દરમિયાન, સરકાર અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે. ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં ઉતાવળ કરવાને બદલે, સરકાર વિપક્ષી પાર્ટીઓને વિશ્વાસમાં લેવા માગે છે. ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા અંગે વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરવાની જવાબદારી સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને સોંપવામાં આવી છે. કિરેન રિજિજુએ આ મુદ્દે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને DMKના નેતાઓ સાથે પણ વાત કરી છે. તેઓ અન્ય પાર્ટીઓના નેતાઓ સાથે પણ વાત કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp