ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરિણામની તારીખ જાહેર
ગાંધીનગર: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર, આવતીકાલે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે, જે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે. અગાઉના ધોરણ 10 અને 12 સાયન્સના પરિણામની જેમ જ આ પરિણામો પણ શાળાઓ જ જોઈ શકશે, જેમણે વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે.
કોરોનાના કારણે રાજ્ય સરકારે ધોરણ 10 તેમજ 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. જે અનુસાર ધોરણ 12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ મળીને કુલ 6.83 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે, આવતીકાલે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરાશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો છે કારણ કે આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે ધોરણ 10 ના ગણિતના માર્ક્સને ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવામાં આવે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગે પરિણામ અંગે જાહેરાત કરી છે.
આ પહેલા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના પરિણામોમાં 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. માસ પ્રમોશનના કારણે ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યનું 100 ટકા પરિણામ આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp