રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય : આ તારીખથી તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ થશે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ ફરીથી ઘટી રહ્યા છે અને ત્રીજી લહેરની અસર ઘટી રહી છે. જેને જોતા સરકારે એક પછી એક નિયંત્રણોમાં રાહત આપવાનું શરૂ કર્યું છે. ત્રીજી લહેરમાં બંધ કરવામાં આવેલ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યા બાદ સરકારે આ અંગે નવો નિર્ણય જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, તારીખ 21 ફેબ્રુઆરીથી શિક્ષણ વિભાગ હસ્તકની તમમ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શાળા-કોલેજોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઈન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે નિર્ણયનું અમલીકરણ 21 ફેબ્રુઆરી, સોમવારથી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં કેસ વધી જતા રાજ્ય સરકારે એકથી નવ ધોરણની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું હતું. જોકે, કેસ ઘટવાની શરૂઆત થતા સરકારે થોડા સમય પહેલા ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કર્યું હતું તો સાથે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. જોકે, હવે સોમવારથી ઓફલાઈન શિક્ષણ જ ચાલશે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસ એક હજારની નીચે આવી ગયા છે. ગઈકાલે નવા 884 કેસ નોંધાયા હતા અને સાથે 2688 રિકવરી અને 13 મૃત્યુ નોંધાયા હતા. અમદાવાદમાં 317, વડોદરામાં 202, સુરતમાં 53 અને રાજકોટમાં 29 નવા કેસ સાથે રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ એક્ટિવ કેસની સંખ્યા 9,378 રહી છે. જ્યારે 11,97,983 લોકો કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp