IND Vs ENG Test Series: લીડ્સમાં બધાને જે ડર હતો તે જ થયું. જ્યાં સીનિયર ખેલાડીઓ વિના ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમ નવા યુગની શરૂઆત જીત સાથે કરવા માગતી હતી, તો ઈંગ્લેન્ડની ટીમે તેમનો ઈરાદો ચકનાચૂર કરી દીધા. ભારતીય ટીમે આખી મેચમાં પકડ બનાવી રાખી હતી, જ્યાં તેણે પહેલા 2 દિવસમાં મેચ પર પ્રભુત્વ જમાવ્યું, પરંતુ ઈંગ્લેન્ડે તેમની પાસેથી એટલી જ સરળતાથી મેચ છીનવી લીધી. વાઇસ કેપ્ટન રિષભ પંતે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી, જ્યારે ગિલ, યશસ્વી અને કેએલએ પણ સદી ફટકારી. ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં 835 રન બનાવ્યા, પરંતુ તેમ છતા, ઈંગ્લેન્ડે તેને હરાવી. એવામાં, ચાલો જાણીએ 5 મોટી ભૂલો જેના કારણે ભારતીય ટીમે જીતેલી મેચ ગુમાવી.
નીચલા ક્રમના બેટ્સમેન ફ્લોપ
લીડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ અચાનક નીચલા ક્રમના બેટ્સમેનોના સતત આઉટ થવાથી તેમને બધું ગુમાવવું પડ્યું. પહેલી ઇનિંગમાં, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતની સદીઓના કારણે ભારતે 430/3નો સ્કોર બનાવ્યો હતો. એવું લાગતું હતું કે ટીમ 600 રનની નજીક પહોંચી શકે છે, પરંતુ થયું એવું કે ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને માત્ર 41 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી. નીચલા ક્રમના બેટ્સમેનોએ હંમેશાંની જેમ યોગદાન જ ન આપ્યું.
બીજી તરફ, ઇંગ્લેન્ડના નીચલા ક્રમના બેટ્સમેનોએ તેમની પહેલી ઇનિંગમાં 71 મહત્ત્વપૂર્ણ રન ઉમેર્યા, જેથી ભારતના વિશાળ સ્કોરની બરાબરી કરવામાં મદદ કરી. બીજી તરફ, બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માટે પરિસ્થિતિ અલગ નહોતી. રિષભ પંતે વધુ એક સદી ફટકારી અને કેએલ રાહુલે પણ સદી ફટકારી. એક સમયે ભારતીય ટીમ 333/5 પર હતી અને એવું લાગતું હતું કે તેઓ ઇંગ્લેન્ડને મોટો લક્ષ્ય આપશે, પરંતુ તેમણે તેમની છેલ્લી 5 વિકેટો માત્ર 31 રનમાં ગુમાવી દીધી અને 364 રનમાં ઓલઆઉટ થઈ ગયા
નબળી ફિલ્ડિંગ અને ડ્રોપ કેચ
ભારતની ફિલ્ડિંગ ખૂબ જ નબળી હતી. તેણે પહેલી ટેસ્ટ મેચમાં લગભગ 8 કેચ છોડ્યા, જેમાં માત્ર ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં 6 કેચનો સમાવેશ થાય છે. વર્ષ 2019 બાદ આ તેનું સૌથી ખરાબ ફિલ્ડિંગ પ્રદર્શન હતું. યુવા ક્રિકેટર યશસ્વી જાયસ્વાલે આ મેચમાં સૌથી વધુ કેચ (4) છોડ્યા. એક સમયે એવું લાગતું હતું કે બોલ જાણી જોઈને જાયસ્વાલ તરફ જઈ રહ્યો હતો કારણ કે તેને ખબર હતી તે તેને છોડી દેશે.
અહી સુધી કે રિષભ પંત, સાઈ સુદર્શન અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓએ પણ કેચ છોડવાની ભૂલ કરી હતી. આ બધાએ એક-એક કેચ છોડ્યો, જ્યારે જયસ્વાલે 4 કેચ છોડ્યા, જેમાંથી 3 બુમરાહની બોલિંગમાંથી આવ્યા
ગિલની નબળી કેપ્ટનશીપ
કેપ્ટન તરીકે, શુભમન ગિલ પ્રથમ ટેસ્ટમાં તેની કેપ્ટનશીપને લઈને સવાલોના ઘેરામાં છે. કેપ્ટન હોવા છતા, પંત અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ તેની જગ્યાએ ફિલ્ડિંગમાં બદલાવ કરી રહ્યા હતા. ગિલ મેદાન પર દબાવમાં જોવા મળ્યો હતો, ખાસ કરીને જ્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેન રનનો વરસાદ કરી રહ્યા હતા. શાર્દુલે પહેલી ઇનિંગમાં માત્ર 6 ઓવર ફેંકી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેનો ઓછો ઉપયોગ થયો હતો. બીજી ઇનિંગમાં, જ્યારે બેન અને ક્રાઉલી રન બનાવી રહ્યા હતા, ત્યારે ભારતીય ટીમની ફિલ્ડ સેટિંગ ડિફેન્સિવ લાગી રહી હતી.
સિલેક્શન પર ઉઠ્યા સવાલ
ભારતીય ટીમ આ મેચમાં4 સ્પેશિયાલિસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. કુલદીપ યાદવની મેચમાં કમી અનુભવી. કુલદીપ કોઈપણ પીચ પર બોલ સ્પિન કરવાની ક્ષમતા ધરાવે છે. તો, જો અર્શદીપ સિંહને પણ તક આપવામાં આવી હોત તો પરિસ્થિતિ અલગ હોત.
ભારતીય ટીમે બેટિંગમાં ઊંડાણ માટે લીડ્સમાં ચોથા સીમર તરીકે શાર્દુલ ઠાકુરને પસંદ કર્યો હતો, પરંતુ પહેલી ઇનિંગમાં તેને 40મી ઓવરમાં બોલ આપી દેવામાં આવ્યો હતો અને તેણે 6 ઓવરમાં 6થી વધુની ઇકોનોમીથી રન લૂંટાવી દીધા. બીજી ઇનિંગમાં, તેણે 2 વિકેટ લીધી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. આ સાથે, કરુણ નાયર અને સાઈ સુદર્શન પણ ફ્લોપ રહ્યા. નાયરે 0 અને 20 અને સુદર્શને 0 અને 30 રન બનાવ્યા.
બૂમરાહ પર નિર્ભરતા
ભારતીય ટીમની હારનું એક કારણ એ પણ છે કે તે જસપ્રીત બૂમરાહ પર વધુ પડતો નિર્ભર રહી. બૂમરાહ સિવાય બાકીના બોલરો બિનઅસરકારક દેખાતા હતા. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેને કોઈ સફળતા મળી ન હતી. તેના સિવાય બીજું કોઈ કંઈ ખાસ કરી શક્યું નહીં.
પહેલી ટેસ્ટ: ઇંગ્લેન્ડની 5 વિકેટે જીત
બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંઘમ
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન.