ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ, બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે!
Mehul Choksi Arrested: પંજાબ નેશનલ બેંક (PNB) લોન છેતરપિંડી કેસમાં ભાગતો ફરતો આરોપી ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. 65 વર્ષીય મેહુલ ચોક્સીની શુક્રવારે (11 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે અત્યારે પણ જેલમાં જ છે.
મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો. પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. અનેક અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે, મેહુલ ચોક્સી પાસે બેલ્જિયમમાં 'એફ રેસીડેન્સી કાર્ડ' છે અને તે સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ પહોંચ્યો છે.
બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે, મુંબઈની એક કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા 2 અરેસ્ટ વોરંટનો ઉલ્લેખ કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વોરંટ 23 મે, 2018 અને 15 જૂન, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોનો સંદર્ભ આપીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે.
13,500 કરોડ રૂપિયાના PNB કૌભાંડના આરોપસર મેહુલ ચોક્સી પર CBI અને ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છુપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવાઈ રહી છે.
મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેંકમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. અને ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. આ ભારતનો બીજો સૌથી મોટો બેંક કૌભાંડ હતો. વર્ષ 2021માં, જ્યારે તે ક્યૂબા જઈ રહ્યો હતો, ત્યારે તેને ડોમિનિકામાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે તેની સામે આ કેસ ચલાવવામાં આવી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે, EDએ ભારતમાં તેની સંપત્તિઓ ગેરકાયદેસર રીતે જપ્ત કરી રાખી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp