PM Modi Receives Ghana's National Honour: PM મોદીને ઘાનાએ રાષ્ટ્રીય એવોર્ડથી કર્યા સન્માનિત, બંને દેશોએ 4 મહત્ત્વના કરારો પર કર્યા હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો હતો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા વડાપ્રધાન મોદીને 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવા પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘ઘાનાના રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું 1.4 અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું. હું આ સન્માન અમારા યુવાનોની આકાંક્ષાઓને, તેમના ઉજ્જવળ ભવિષ્ય, અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.’
આ અગાઉ, વડાપ્રધાન મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ દિલથી આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવે છે તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન જાહેર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-ઘાના મિત્રતાના મૂળમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષો અને સમાવિષ્ટ ભવિષ્ય માટે સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.
તેમણે ઘાનાને એક જીવંત લોકશાહી અને પશ્ચિમ આફ્રિકામાં ‘આશાના કિરણ’ તરીકે પ્રશંસા કરી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના વ્યાવસાયિક શિક્ષણ માટે, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપિત કરવા માટે કાર્ય કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ મહામાજીન ‘ફીડ ઘાના’ કાર્યક્રમમાં સહયોગ કરવામાં અમને ખુશી થશે.
આ ઉપરાંત, જન ઔષધિ કેન્દ્રો દ્વારા ઘાનાના નાગરિકોને સસ્તી અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વેક્સીન ઉત્પાદનમાં સહયોગની પણ ચર્ચા કરવામાં આવી હતી. આતંકવાદ સામેની લડાઈમાં ઘાનાના સહયોગની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોએ આતંકવાદ વિરોધી સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુધારાઓ પર પણ સમાન દૃષ્ટિકોણ શેર કર્યો.
ઘાનાના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘... હું આવતીકાલે ભારતીય સમુદાય સાથેની મારી મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત છું. રાષ્ટ્રપતિ મહોદય, તમે ભારતના ઘનિષ્ઠ મિત્ર છો. તમે ભારતને ખૂબ સારી રીતે જાણો છો. હું તમને ભારતની આવવાનું નિમંત્રણ આપું છું. મને વિશ્વાસ છે કે તમે અમને ભારતમાં તમારું સ્વાગત કરવાની તક આપશો. ફરી એકવાર, હું ઘાના સરકાર અને ઘાનાના તમામ લોકોનો તેમના અદ્ભુત સ્વાગત માટે આભાર માનું છું.
ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘... આ મુલાકાત ઘાના અને ભારત વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધોનો પુરાવો છે, જે ઘાનાના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. ક્વામે નક્રુમા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના દૂરંદેશી નેતૃત્વના પાયા પર આધારિત છે. તે બંને ભાઈચારો ધરાવતા દેશો વચ્ચે સતત વધતી જતી મિત્રતા અને સહયોગને પણ દર્શાવે છે, જે આપણા લોકોના પરસ્પર હિત માટે છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એક વિશેષ સન્માન છે, ખાસ કરીને એ સંદર્ભમાં કે વડાપ્રધાન મોદીના 5 દેશોના આફ્રિકન પ્રવાસનો પ્રથમ તબક્કો ઘાનાથી શરૂ થયો છે, જે બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમા સમાપ્ત થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp