કાશ્મીરમાં જનસભાને સંબોધતા PM બોલ્યા- ‘નરેન્દ્ર મોદીનું વચન છે કે હું વિકાસને અહીં રોકાવા નહીં દઉં, જો કોઈ અવરોધ આવશે, તો..’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેમણે અહી વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચિનાબ પુલ, દેશને સમર્પિત કર્યો. આ દરમિયાન, વડાપ્રધાન મોદી હાથમાં ત્રિરંગો લઈને ચિનાબ પુલ પર ચાલતા પણ જોવા મળ્યા. કટરા ખાતે એક જાહેર સભાને સંબોધતા તેમણે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા સ્થાનિક કાશ્મીરી યુવાન આદિલને પણ યાદ કર્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણો પાડોશી દેશ માનવતાનો દુશ્મન છે. પાકિસ્તાને 22 એપ્રિલે પહેલગામમાં માનવતા અને કાશ્મીરીયત બંને પર હુમલો કર્યો. પાકિસ્તાન આપણા દેશમાં કોમી રમખાણો ભડકાવવા માગે છે. પાકિસ્તાન કાશ્મીરના મહેનતુ લોકોને તેમની આજીવિકાથી વંચિત રાખવા માગે છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે, જે ગરીબોની આજીવિકાનો પણ વિરોધ કરે છે. પાકિસ્તાને માનવતા અને કાશ્મીરીયત પર હુમલો કર્યો. તેનો હેતુ કાશ્મીરના મહેનતુ લોકોની કમાણી રોકવાનો હતો, એટલે તેણે પ્રવાસીઓ પર હુમલો કર્યો. પર્યટન સતત વધી રહ્યું હતું, અહી રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા હતા, જેના કારણે જમ્મુ-કાશ્મીરના લોકોના ઘર ચાલે છે, પાકિસ્તાને તેમને નિશાન બનાવ્યા. પાકિસ્તાનનું કાવતરું આ બધું નષ્ટ કરવાનું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદીઓને પડકાર ફેંકનાર યુવાન આદિલ પણ ત્યાં મહેનત-મજૂરી કરવા ગયો હતો. પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે તે માટે તે મહેનત કરી રહ્યો હતો, પરંતુ આતંકવાદીઓએ એ આદિલને પણ મારી નાખ્યો. જમ્મુ-કાશ્મીરના લોકો જે રીતે પાકિસ્તાનના ષડયંત્ર સામે ઉભા થયા છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ જે તાકત બતાવી છે, તેણે દુનિયાને એક મજબૂત સંદેશ આપ્યો છે કે અહીંના લોકોએ આતંકવાદને જોરદાર જવાબ આપવાનું મન બનાવી લીધું છે.
ફ્રાન્સના એફિલ ટાવરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે. લોકો પેરિસમાં એફિલ ટાવર જોવા જાય છે અને આ પુલ એફિલ ટાવર કરતા ઘણો ઊંચો છે. આપણે લોકો ચિનાબ પુલ દ્વારા કાશ્મીર જોવા જઈશું જ, પરંતુ આ પુલ પોતાની જાતમાં એક આકર્ષક પર્યટન સ્થળ પણ બનશે. બધા લોકો સેલ્ફી પોઈન્ટ પર જઈને સેલ્ફી લેશે. આપણો અંજી પુલ પણ એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે ભારતનો પહેલો કેબલ સપોર્ટેડ પુલ છે. આ બંને પુલ માત્ર ઈંટ, સિમેન્ટ, સ્ટીલ અને લોખંડના માળખા નથી. પીર પંજાલની દુર્ગમ પહાડીઓ પર ઊભો ભારતની શક્તિનો પ્રતિક છે. તે ભારતના ઉજ્જવળ ભવિષ્યની તસવીર દર્શાવે છે કે વિકસિત ભારતનું સપનું જેટલું મોટું છે, એટલો જ બુલંદ આપણો હૌસલો છે. આપણું સામર્થ્ય અને સૌથી મોટી વાત આપણા સારા ઇરાદા.
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે આ નરેન્દ્ર મોદીનું વચન છે કે હું વિકાસને અહીં રોકાવા નહીં દઉં. જો કોઈ અવરોધ આવશે, તો તેને પહેલા મોદીનો સામનો કરવો પડશે. આજે 6 જૂન છે. એક મહિના અગાઉ, 6 મેની રાત્રે, પાકિસ્તાન પર કયામત વરસી હતી. પાકિસ્તાન ક્યારેય ઓપરેશન સિંદૂર વિશે વિચારશે, તો તેને પોતાની હાર યાદ આવશે. પાકિસ્તાને ક્યારેય વિચાર્યું નહોતું કે ભારત તેના પ્રદેશમાં જઇને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરશે. આતંકવાદની ઇમારતો ખંડેર બની ગઈ છે. પાકિસ્તાન બોખલાઈ ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp