‘અમે આવી બાબતોમાં નિષ્ણાત ક્યારથી બની ગયા? આવી અરજીથી...’, SCએ પહેલગામ સંબંધિત અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી
Supreme Court refuses to hear Pahalgam attack plea: સુપ્રીમ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત PILપર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. નિવૃત્ત ન્યાયાધીશોની દેખરેખ હેઠળ કેસની તપાસની માગ કરતી PIL પર, સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપ્યો અને અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે આ અરજી દાખલ કરવાનો સમય નથી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટીશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, આવી અરજીઓથી સુરક્ષા દળોનું મનોબળ ઓછું ન થવું જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંતે ઠપકો આપતા કહ્યું કે, અમે ક્યારથી આવી બાબતોમાં નિષ્ણાત બની ગયા? હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો રક્ષા બાબતોમાં નિષ્ણાત કેવી રીતે હોઈ શકે? આવી અરજીઓ માટે આ ક્યારેય યોગ્ય સમય નથી.
કોર્ટે કહ્યું કે અમારું કામ વિવાદોનું નિરાકરણ લાવવાનું છે. અરજદારે અરજી પાછી ખેંચવાની વિનંતી કરતા કહ્યું કે, તેઓ તો વિદ્યાર્થીઓ માટે કોર્ટ આવ્યા હતા. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તમારી અરજીમાં વિદ્યાર્થીઓ માટે એક પણ પ્રાર્થના નથી. કોર્ટના ઠપકા બાદ જ્યારે અરજદારે અરજી પાછી ખેંચવાની વાત કરી ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને હાઇકોર્ટ જતા પણ રોકવા જોઈએ.
ઠપકો અને સલાહ સાથે અરજીને ફગાવતા, સુપ્રીમ કોર્ટે અરજદારને આવી અરજીઓ દાખલ કરવાનું ટાળવાની ચેતવણી આપી. શું તમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવા ઈચ્છો છો? આ બાબતની ગંભીરતા સમજો. દેશના દરેક નાગરિક માટે આ મુશ્કેલ સમય છે. આ મામલાની ગંભીરતા અને સમયની નાજુકતા સમજો.
અરજીમાં પહેલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં ન્યાયિક પંચની રચના કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અરજીમાં કેન્દ્ર, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, CRPF, NIAને જમ્મુ અને કાશ્મીરના પ્રવાસી વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપવાની માગ પણ કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp