જ્યાં ઔરંગઝેબને દફનાવાયો છે, તે સ્થળનું નામ બદલાશે, મહારાષ્ટ્રના મંત્રીએ કરી જાહેરાત
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના ખુલ્તાબાદ શહેરનું નામ બદલવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ખુલ્તાબાદનું નામ બદલીને રત્નાપુર કરવામાં આવશે. મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર ખુલ્તાબાદમાં જ છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માગ જોર પકડી રહી છે.
મંત્રી સંજય શિરસાટે જણાવ્યું હતું કે, છત્રપતિ સંભાજીનગર અગાઉ ખડકી તરીકે ઓળખાતું હતું. પરંતુ પાછળથી તેનું નામ બદલીને ઔરંગાબાદ કરી દેવામાં આવ્યું. એવી જ રીતે, ખુલ્તાબાદ પહેલા રત્નાપુર તરીકે ઓળખાતું હતું. પરંતુ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. ત્યારે જ આ બંને સ્થળોના નામ પણ બદલી નાખવામાં આવ્યા હતા. હવે અમે ખુલ્તાબાદનું નામ બદલીને રત્નાપુર કરવા જઈ રહ્યા છીએ.
મંત્રીએ કહ્યું કે, અમે એ તમામ સ્થળોના નામ બદલવાની પ્રક્રિયામાં લાગ્યા છીએ, જેમના નામમાં 'બાદ' (જેમ કે ઔરંગાબાદ) લાગ્યું છે. મંત્રીએ એમ પણ કહ્યું કે, સરકાર ખુલ્તાબાદમાં એક સ્મારક બનાવશે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજનો ઈતિહાસ બતાવવામાં આવશે.
છત્રપતિ સંભાજીનગરથી લગભગ 25 કિમી દૂર આવેલા ખુલ્તાબાદ શહેરમાં ઔરંગઝેબ, તેમના પુત્રો આઝમ શાહ અને નિઝામ અસફ સહિત અન્ય લોકોની કબરો આવેલી છે. ગયા મહિને, મંત્રી શિરસાતે કહ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપીને મારી નાખનાર ક્રૂર સમ્રાટ ઔરંગઝેબની કબર માટે મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp