રથયાત્રા: જગન્નાથ રથયાત્રાનો શું છે ઈતિહાસ? મગ અને જાંબુનો કેમ અપાય છે પ્રસાદ?
"રથયાત્રા" અથવા "રથોનો ઉત્સવ" તે ભક્તિ અને માનવતાનો સંગમ છે. શોભાયાત્રાના પ્રથમ દિવસે, ઠેક ઠેકાણેથી આવેલા ભક્તોના ટોળા માટે પ્રાચીન જગન્નાથ મંદિર દરવાજા ખોલે છે. શંખનાદ, મૃદંગોના લયબદ્ધ તાલ અને "જય જગન્નાથ!" ગુંજથી વાતાવરણ મંત્રમુગ્ધ બની જાય છે; જાણે દિવ્યતાનું અવતરણ પૃથ્વી પર થઇ રહ્યું હોય તેવો માહોલ સર્જાય છે.
હરિવંશ પુરાણ, પદ્મપુરાણ સહિતના પુરાણો અનુસાર, જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર આવ્યા હતાં ત્યારે તેમણે પોતાના બન્ને ભાઇઓ શ્રીકૃષ્ણ અને બલરામને નગરયાત્રા પર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે. જગન્નાથપુરીની રથયાત્રા ક્યારથી નીકળે છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ રથયાત્રાનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં લખાયેલ ગ્રંથ ત્રિસખ્ય જગન્નાથ માહાત્મ્યમાં જોવા મળે છે.
કહેવાય છે કે મગ અને જાંબુ આંખના રોગમાં રાહત આપે છે. પ્રભુ જગન્નાથને આંખનો રોગ લાગ્યો હતો. રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતાં, તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો. રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે.
મગ અને જાંબુ પ્રસાદ પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ?
અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. આ સમય દરમિયાન બહોળા પ્રમાણમાં ચક્ષુરોગ થવાની સંભાવના રહેલી છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે, પુરાણોની કથામાં સ્વયં ભગવાનને આ રોગ થયો હોવાની વાત છે. રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.
જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. આ રથયાત્રા 142 વર્ષથી નીકળે છે. તમિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે. કેરળમાં આ જ પ્રસંગ થોડો અલગ રીતે ઉજવાય છે. અહીં શિવ-પાર્વતીની રથયાત્રા નીકળે છે. નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે. લંડનમાં પણ ઈસ્કોન સંપ્રદાય દ્વારા રાધા-કૃષ્ણની રથયાત્રા નીકળે છે. ભાવનગરમાં 42 વર્ષથી અમદાવાદ અને પુરીની માફક રથયાત્રા નીકળે છે.
પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મંદિરની ઉપર પ્રતિદિન સાંજે માનવ દ્વારા ઉંધા ચડીને ધજા બદલાવવામાં આવે છે. ધજા પર શિવના ચંદ્રની નિશાની હોય છે. પુરીના કોઇપણ ક્ષેત્રમાંથી મંદિર ઉપરના સુદર્શનચક્રને જોઇ શકાય છે. મંદિરના મુખ્ય શિખર-ગુંબજની છાયા, દિવસે એકપણ દિશામાં જોઇ શકાતી નથી. કયારેય એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઉડતું જોવા મળતું નથી. મંદિરના સિંહદ્વારમાં દાખલ થવાની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે સિંહદ્વારથી બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp