બાળકોને કઈ રસી અપાશે? કેવી રીતે થશે રજીસ્ટ્રેશન? જાણો દરેક પ્રશ્નનો જવાબ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસી અભિયાનની જાહેરાત કરી હતી. પીએમની જાહેરાત બાદ દરેક માતા-પિતાના મનમાં અનેક સવાલો છે. જેવા કે, બાળકોને કઈ રસી આપવામાં આવશે? નોંધણી કેવી રીતે થશે? જો રસીના બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનો ગેપ હશે તો તેઓ પરીક્ષા કેવી રીતે આપશે?
બાળકોને કઈ રસી આપવામાં આવશે તે અંગે સરકાર તરફથી હજુ કંઈ જાણકારી આપવામાં આવી નથી. ભારતીય ડ્રગ કન્ટ્રોલર જનરલે બાળકો માટે કૉવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. જે 12 થી 18 વર્ષના બાળકોને આપી શકાશે. કેન્દ્ર દ્વારા બાળકોની રસી માટે ભારત બાયોટેકને જ ઓર્ડર આપવામાં આવે તેવું અનુમાન છે.
જોકે, આ રસી પહેલા બાળકો માટે ઝાયડસ કેડિલા (Zydus Cadila) રસી પર પણ વિચાર મંથન કરવામાં આવ્યું છે. તે રસીના ત્રણ ડોઝ જરૂરી છે. તે રસીમાં સિરીંજનો ઉપયોગ થતો નથી. હાલ સરકારે બાળકો માટે ઇમરજન્સી ઉપયોગ માટે ‘કોવેક્સિન’ને મંજૂરી આપી છે.
હાલમાં દેશમાં જે વ્યવસ્થા છે તે મુજબ કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યારબાદ સ્લોટ મળશે. એપ પર સ્લોટ બુકિંગ દરમિયાન આધાર કાર્ડ નંબર આપવાનો રહેશે. ઘણા એવા બાળકો છે જેમની પાસે આધાર કાર્ડ નથી. આવા બાળકો માટે અલગ સેન્ટર બનાવવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં આરોગ્ય કર્મચારીઓ ગામડાઓ, મહોલ્લાઓ અને ખેતરોમાં પહોંચીને રસી લગાવી રહ્યા છે. જેથી એવી સંભાવના છે કે બાળકોને તેમના ઘરે અથવા શાળાએ જતા બાળકોને શાળામાં રસી આપવામાં આવશે. જોકે, આ અંગે હજુ કેન્દ્રે સ્પષ્ટતા કરી નથી.
18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણમાં 90 દિવસ સુધીનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં ઘટાડો થયો હતો. 3 જાન્યુઆરીથી બાળકો માટે રસીકરણ શરૂ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો બાળકો માર્ચ-એપ્રિલમાં પરીક્ષા આપે છે, તો તેમના બીજા ડોઝની તારીખ નજીક આવી ગઈ હશે અને જો એક ડોઝ લેવામાં આવશે તોપણ તેઓ ચેપથી સુરક્ષિત રહેશે.
હાલમાં દેશમાં મફત અને નિશ્ચિત રકમ આપીને રસીકરણની વ્યવસ્થા છે.કેટલાક લોકો સરકાર દ્વારા ઉભા કરાયેલા કેન્દ્રો પર જઈને રસી લઈ રહ્યા છે તો કેટલાક લોકો ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચૂકવીને રસી લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકો માટે પણ બંને વ્યવસ્થા હોય તેવી શક્યતા છે.
ઓમિક્રોનના આવ્યા બાદ બૂસ્ટર ડોઝ (booster dose) પર તીવ્ર મંથન ચાલી રહ્યું છે. 25 ડિસેમ્બરની સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ 'બૂસ્ટર ડોઝ'ને બદલે 'પ્રિકોશન ડોઝ' (precaution dose) શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે પ્રશ્ન એ છે કે આ બંને એક જ છે કે અલગ અલગ. પીએમના સંબોધન પછી દેશના જાણીતા ડોક્ટર નરેશ ત્રેહને કહ્યું કે, વડાપ્રધાને બૂસ્ટર ડોઝને જ પ્રિ-કોશન ડોઝ ગણાવ્યો છે. તેનો મુખ્ય હેતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp