Arvind Kejriwal on Rajya Sabha move: લુધિયાણાની પેટાચૂંટણીમાં AAPની જીત બાદ અરવિંદ કેજરીવાલે કન્ફર્મ કરી દીધું તેઓ રાજ્યસભા જશે કે નહીં
Arvind Kejriwal rules out Rajya Sabha move: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા નથી. લુધિયાણા પશ્ચિમ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં જ્યારે AAPએ પોતાના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાને ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો તેઓ જીતશે તો અરવિંદ કેજરીવાલ તેમની જગ્યાએ રાજ્યસભામાં જઈ શકે છે. સોમવારે, લુધિયાણા પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવ્યા અને AAPના સંજીવ અરોડાએ જીત હાંસલ કરી હતી.
જ્યારે એક ન્યૂઝ ચેનલ દ્વારા AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને આ જીત અને રાજ્યસભામાં જવા અંગે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, 'પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે કે રાજ્યસભામાં કોણ જશે, પરંતુ હું જઈ રહ્યો નથી.’ ફેબ્રુઆરીમાં દિલ્હીમાં હાર બાદ લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીમાં AAPની જીત પાર્ટી માટે રાજકીય તક લઈને આવી છે. રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાએ ધારાસભ્ય બનવા માટે રાજીનામું આપ્યા બાદ, પંજાબમાંથી ઉપલા ગૃહમાં એક બેઠક ખાલી પડી છે. અરવિંદ કેજરીવાલના ઇનકાર બાદ, હવે જોવાનું રહેશે કે AAP કોને રાજ્યસભામાં મોકલે છે.
દિલ્હી ચૂંટણીમાં હાર બાદ પાર્ટી કે કેજરીવાલ તરફથી તેમની યોજનાઓ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કેજરીવાલ પોતાનો મોટાભાગનો સમય પંજાબમાં વિતાવી રહ્યા હતા અને પાર્ટીનું ધ્યાન માત્ર એ જ રાજ્ય પર કેન્દ્રિત કરી રહ્યા હતા, જ્યાં તેમની સરકાર છે. વર્ષ 2027ની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની ધારણા છે. સંજીવ અરોડાને 35,179 મત મળ્યા હતા અને તેઓ કોંગ્રેસના નેતા ભારત ભૂષણ આશુથી 10,0637 મતોથી આગળ હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જીવન ગુપ્તા ત્રીજા ક્રમે રહ્યા.
વર્ષ 2015 અને વર્ષ 2020માં 70માંથી 60 કરતા વધુ બેઠકો જીતનાર AAPની 2025માં દિલ્હી વિધાનસભામાં સંખ્યા ઘટીને માત્ર 22 બેઠકો પર રહી ગઈ. અરવિંદ કેજરીવાલ અને તેમના કેટલાક મહત્ત્વના નેતાઓએ દિલ્હીમાં પોતાની બેઠકો ગુમાવી દીધી. હવે પાર્ટી બીજા રાજ્યમાં સત્તા ન મેળવે ત્યાં સુધી રાજકીય રીતે સુસંગત રહેવા માટે વિકલ્પો શોધી રહી છે. સંજીવ અરોડાના રાજીનામા બાદ, રાજ્યસભાની બેઠક 6 મહિનાની અંદર ભરવી પડશે. ચૂંટણી પંચ રાજ્યસભા પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે અને ચૂંટણી કરાવશે. વિજેતા ઉમેદવાર ઔપચારિક રીતે ઉપલા ગૃહમાં સંજીવ અરોડાનું સ્થાન લેશે. પંજાબ વિધાનસભામાં AAP પાસે 117 બેઠકોમાંથી 94 બેઠકો હોવાથી, રાજ્યસભાની ચૂંટણી પાર્ટી માટે માત્ર ઔપચારિકતા રહેશે.
લુધિયાણા પશ્ચિમ સાથે-સાથે AAPએ ગુજરાતની 2 વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી પર પણ પેટાચૂંટણી લડી હતી. AAPના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમણે ભાજપના ઉમેદવાર કિરિટ પટેલ સામે 17,554 મતોના માર્જિનથી જીત મેળવી હતી. AAPએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક જીતી હતી. જોકે, તેના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ આ વર્ષની શરૂઆતમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. ભાજપ વર્ષ 1998થી ગુજરાતમાં શાસન કરી રહ્યું હોવા છતા, તેણે છેલ્લી વખત વર્ષ 2007માં વિસાવદર બેઠક જીતી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp