ખરાબ હવામાનને કારણે શુભાંશુ શુક્લાની ઉડાણ સ્થગિત, Axiom-4 મિશન લોન્ચિંગની નવી તારીખ આવી સામે
હવામાન પરિસ્થિતિને કારણે, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) માટે Axiom-4 મિશનને 11 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું. ભારતના અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, 3 અન્ય ક્રૂ સભ્યો સાથે અવકાશ મિશન માટે ઉડાણ ભરવાના હતા. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ISROએ જણાવ્યું હતું કે, પ્રક્ષેપણની નવી તારીખ 11 જૂનની સાંજે 5:30 વાગ્યે છે.
શુભાંશુ શુક્લા ISS પર જનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. શુભાંશુ શુક્લાની આ યાત્રા વર્ષ 1984માં રાકેશ શર્માની યાત્રાના 4 દાયકા બાદ થઈ રહી છે. તેમણે રશિયાના સોયુઝ અવકાશયાનમાં અંતરિક્ષમાં મુસાફરી કરી હતી. વર્ષ 2018માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે ભારતના પુત્રો અને પુત્રીઓ ખૂબ જ જલદી અવકાશમાં જશે. ત્યારબાદ, શુક્લાને વર્ષ 2019માં ISROની અવકાશયાત્રી પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
Axiom મિશન, અમેરિકન સ્પેસ એજન્સી NASA અને ભારતના ISROની સંયુક્ત પહેલ છે. Axiom-4 મિશનના ક્રૂ સભ્યો ISSની મુસાફરી કરશે. અહીં તેઓ પ્રયોગશાળાનું પરિભ્રમણ તેમજ વિજ્ઞાન, આઉટરીચ અને કોમર્શિયલ પ્રયાસો પર કેન્દ્રિત મિશન હાથ ધરશે. જાન્યુઆરી 2025માં NASA અને ISROના X-4 મિશન માટે શુભાંશુ શુક્લાને પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી IANSના અહેવાલ મુજબ, શુભાંશુ શુક્લાએ દેશમાં અંતરિક્ષ સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થાને આગળ વધારનારી અસાધારણ પ્રતિભાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ મિશન દરમિયાન તેઓ પાઇલટના રૂપમાં કામ કરશે. તેઓ સિસ્ટમનું સંચાલન પણ કરશે. હું વાહન નેવિગેટ કરીશ અને ઉપલબ્ધ તમામ ડેટા જોઈશ.’ Axiom-4 મિશનના પાયલટ શુક્લા ઉપરાંત, અન્ય ક્રૂ સભ્યોમાં પોલેન્ડના સ્લેવોઝ ઉજનાન્સ્કી-વિસ્નીવસ્કી, હંગેરીના ટિબોર કાપૂ અને અમેરિકન અવકાશયાત્રી પેગી વ્હિટસનનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp