બીજેપી સાંસદ રાજ્યવર્ધનસિંહે ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘પરેશાન કરનારા સમાચાર. અનવર જીલ્લાના જવાન સુરેન્દ્રસિંહના પિતાએ રાહુલ ગાંધીને રાજનીતિ ન કરવાની સલાહ શું આપી, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે જવાનના ઘરે પહોંચીને તેમની ઉપર દબાણ કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ તમે સૈનિકના વૃદ્ધ પિતાને ડરાવી-ધમકાવીને રાજનીતિ કરશો ?’
મીડિયા રિપોર્ટ્સ મુજબ બયાન આપ્યા બાદ એસડીએમ, પોલીસ અને પ્રશાસન ઘાયલ જવાનના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ઘાયલ જવાનના માતા-પિતા કે ભાઈ કોઈ મળ્યું ન હતું. ઘરના દરવાજા પર તાળું લટકાવેલું હતું અને તેમના મોબાઈલ પણ સ્વિચ ઓફ હતા. આખો પરિવાર ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન પોલીસ કોંગ્રેસ સરકારના ઇશારે જવાનના પરિવારને હેરાન કરી રહી છે. એમનો આરોપ છે કે રાહુલ ગાંધી ઉપર આપેલા બયાન બાદ તેમની ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનો મુદ્દે રાહુલ ગાંધીએ ઘાયલ જવાનના પિતાનો વિડીયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરીને લખ્યું હતું કે, ‘આ જોઇને દુઃખ થાય છે કે ભારત સરકારના વરિષ્ઠ મંત્રીઓ વડાપ્રધાન મોદીને બચાવવા માટે જુઠું બોલવા ઉપર ઉતરી આવ્યા છે. તમારા જુઠાણાથી શહીદોનું અપમાન ન કરો.’
ત્યારબાદ ઘાયલ જવાનના પિતા બળવંતસિંહે વિડીયો દ્વારા રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું હતું કે, ‘આ ભારતીય સેના મજબૂત છે, ચીનને હરાવી શકે છે. બીજા દેશોને પણ હરાવી શકે છે. રાહુલ ગાંધી, તમે નેતાગીરી ન કરો, આ રાજનીતિ સારી નથી. મારો દીકરો પહેલા પણ સેનામાં લડ્યો છે અને આગળ પણ દેશ માટે લડશે.’ એ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ રાજનીતિ કરવાથી ઉપર આવવું જોઈએ અને દેશહિતમાં સરકાર સાથે ઉભા રહેવું જોઈએ.’