ગાંધીનગર: આખરે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું ( 12 Science Result) પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આજે આઠ વાગ્યાથી ગુજરાત બોર્ડની અધિકારીક વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું. જોકે, ધોરણ ૧૦ ના પરિણામની જેમ આ પરિણામો માત્ર શાળાઓ જ જોઈ શકશે અને શાળાઓએ ત્યારબાદ વિદ્યાર્થીઓઓને જાણ કરવાની રહેશે.
રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત ધોરણ ૧૨ નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તેનું કારણ એ છે કે કોરોનાના કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ લઇ શકાઈ ન હતી. જેના કારણે રાજ્ય સરકારે તમામ વિદ્યાર્થીઓને અગાઉના પરિણામના આધારે ફોર્મ્યુલા નક્કી કરી પરિણામ બનાવી જાહેર કર્યા છે. માસ પ્રમોશનના કારણે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે.
રાજ્યના કુલ ૧,૦૭,૨૬૪ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાંથી A1 ગ્રેડ મેળવનારા ૩૨૪૫ વિદ્યાર્થીઓ છે. ૧૫,૨૮૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ૨૪,૭૫૭ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને ૨૬,૮૩૧ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૨૨,૧૭૪ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૧૨,૦૭૧ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, ૨,૬૦૯ વિદ્યાર્થીઓએ D ગ્રેડ, ૨૮૯ વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ અને ૪ વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે.
જોકે, પરીક્ષા લેવામાં ન આવી હોવા છતાં માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું છે કે શાળાઓ તેમના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ મારફતે લોગિન કરી પરિણામ ડાઉનલોડ કરી શકશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ હાલ ઓનલાઈન પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, માર્કશીટ થોડા દિવસો બાદ આપવામાં આવશે.
આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીને આ પરિણામથી અસંતોષ હોય અને સરકારની ગુણાંકન પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા પરિણામમાં વાંધો હોય તો તેમણે પરિણામ પ્રસિદ્ધ થયાના એટલે કે આજથી ૧૫ દિવસની અંદર પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પોતાનું પરિણામ જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેનો કાયર્ક્ર્મ પણ હવે પછી જાહેર કરવામાં આવશે.