Rail Coach Restaurant In Gujarat: ગુજરાતમાં ટૂંક સમયમાં 5 નવા રેલ કોચ રેસ્ટોરાં શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે ડિવિઝન મુસાફરો માટે એક નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન આ રેલ કોચ રેસ્ટોરાં સાબરમતી, આંબલી રોડ, મહેસાણા, ભૂજ અને ગાંધીધામ સ્ટેશનો પર શરૂ કરશે. આ વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં જૂના, ન વપરાયેલા ટ્રેનના કોચમાંથી બનાવવામાં આવશે. તેમાં ઇનડોર અને આઉટડોર બંને પ્રકારની બેઠક વ્યવસ્થા હશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં રેલ કોચ રેસ્ટોરાંનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 'રેલ કોચ રેસ્ટોરાં' શરૂ કરવામાં આવશે. આ અનોખી સુવિધાઓમાં ઇનડોર અને આઉટડોર બંને પ્રકારના ફૂડ ઓપ્શન હશે, જેમાં નકામા ટ્રેનના ડબ્બાઓને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરવામાં આવશે. મુસાફરો અને શહેરની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે રેલ કોચ રેસ્ટોરાં24 કલાક કાર્યરત રહેશે. વધુમાં, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા ફરતા ઝડપથી ઓર્ડર કરવાની સુવિધા મળશે.
અમદાવાદ ડિવિઝનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને લક્ઝરી કોચમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો રહેશે. રેલવેના નવીન અભિગમના ભાગ રૂપે, જૂના કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચન સાથે રેસ્ટોરાં હશે. રેલ કોચ રેસ્ટોરાંમાં ભોજન પ્રેમીઓ માટે એક ઉત્તમ અનુભવ સુનિશ્ચિત કરશે. એકંદરે પર્યાવરણને અનુકૂળ વાતાવરણ વધારવા માટે બાળકો માટે મનોરંજન ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવશે.
સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અન્નુ ત્યાગીના જણાવ્યા અનુસાર, રેલવે કોચ રેસ્ટોરાંમાં બેઠક વ્યવસ્થામાં મુસાફરોને પ્રીમિયમ ડાઇનિંગ અનુભવ મળશે. આ ઉપરાંત, બાળકોને રમવા માટે સુવિધાઓ બનાવવામાં આવશે. આ રેલવે કોચ રેસ્ટોરાંમાં પર્યાવરણને અનુકૂળ વાતાવરણ હશે. આ રેસ્ટોરાં 24 કલાક ખુલ્લું રહેશે અને તેમાં બહાર લઇ જવાની સુવિધા પણ રહેશે.
અમદાવાદ રેલવે ડિવિઝને ટ્વીટ કર્યું છે કે મુસાફરોની સુવિધાઓ વધારવાના પ્રયાસરૂપે, પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝને મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યૂલેશન વિસ્તારોમાં 'રેલ કોચ રેસ્ટોરાં' શરૂ કરવાની તૈયારી કરી છે.