વિદ્યાર્થી નેતાથી ગુજરાતના મુખ્યમંત્રી સુધીની તેમની યાત્રા રસપ્રદ રહી. જેના રોમે રોમમાં રાજકોટ વણાયેલું રહ્યું તે રૂપાણીનો જન્મ રાજકોટમાં નહી, ભારતમાં પણ નહોતો થયો. વિજય રૂપાણીનો જન્મ ૧૯૫૬માં મ્યાનમારનું રંગૂન જે હવે યાંગોન તરીકે ઓળખાય છે ત્યાં થયો હતો. જૈન-વાણિયા પરિવારમાં જન્મેલા રૂપાણી મ્યાનમારમાં રાજકીય અશાંતિ બાદ તેમના પરિવાર સાથે ગુજરાતના રાજકોટમાં સેટલ થયા હતા. તેમના પિતા રસિકલાલ અનાજના વેપારી હતા.
સ્વભાવે શાલીન અને સૌમ્ય એવા વિજય રૂપાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી કાર્યકર તરીકે કરી હતી, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ૧૯૭૧માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પછીથી જન સંઘમાં જોડાયા હતા. તેઓ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સ્થાપના થઈ ત્યારથી જ તેની સાથે જોડાયેલા રહ્યા.
૧૯૮૭માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો.
રાજકોટમાંકોર્પોરેટર બન્યા પછી, તેઓ ૧૯૯૬-૯૭માં શહેરના મેયર બન્યા અને પછી ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી રાજ્યસભાના સભ્ય બન્યા.
2014 માં રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના લાંબા સમયથી પ્રતિનિધિ રહેલા વજુભાઈ વાળાએ કર્ણાટકના રાજ્યપાલ બન્યા પછી પોતાની બેઠક ખાલી કરી ત્યારે રૂપાણીની રાજકીય કારકિર્દીને વેગ મળ્યો. એક મહિના પછી, ભાજપે ઓક્ટોબર 2014 માં વિધાનસભા પેટાચૂંટણી માટે રૂપાણીને નામાંકિત કર્યા, જેમાં તેઓ જીત્યા. આ પછી, તેમને ટૂંક સમયમાં આનંદીબેન પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા.
તેમણે 2016 માં થોડા સમય માટે ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, અને 7 ઓગસ્ટ, 2016 ના રોજ આનંદીબેન પટેલના સ્થાને ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
તેમને કટોકટી દરમિયાન લગભગ 11 મહિના સુધી જેલમાં પણ રાખવામાં આવ્યા હતા, અને ભૂજ અને ભાવનગરની જેલમાં બંધ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ (1998-2001) દરમિયાન, રૂપાણીનેભાજપનીમેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને નરેન્દ્રમોદીનો મજબૂત ટેકો પણ હતો, અને રાજકીય રીતે અસ્થિર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પાર્ટીના પ્રભાવશાળી ચૂંટણી પ્રદર્શનને સુરક્ષિત કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રસપ્રદ વાત એ છે કે, રૂપાણીનો મતવિસ્તાર રાજકોટ પશ્ચિમ હતો, જ્યાંથી વડા પ્રધાન નરેન્દ્રમોદીએ 2002 માં મુખ્યમંત્રી બનવા માટે તેમની પહેલી ચૂંટણી જીતી હતી. રાજકારણની બહાર, રૂપાણીસામાજમાં અગ્રિમ હતા અને પારિવારિક વ્યવસાય ચલાવતા હતા. તેઓ સ્ટોક બ્રોકર પણ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અંજલિ, જે લાંબા સમયથી ભાજપ કાર્યકર રહી છે. તેમના બે સંતાનો પૈકી પુત્ર ગુમાવ્યાના વજ્રઘાતને સહન કરીને, અસહ્ય દૂ:ખને પચાવીને પણ વિજય રૂપાણી પોતાના સાલસ સ્વભાવથી લોકસેવામાં કાર્યરત રહ્યા. તેઓ ૧૨ જૂન ના રોજ લંડન તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતાં.
વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ઓગસ્ટ 2016 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અચાનક રાજીનામા બાદ રૂપાણીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે 2021 માં પદ છોડ્યું હતું, જેનાથી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે કાર્યભર સંભાળવાનો માર્ગ મોકળો થયો હતો.
તેમના મૃત્યુથી ગુજરાતના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે.