મુંબઈ: વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ વિશ્વકપ અને ૨૦૧૧ના વન-ડે વિશ્વકપમાં ભારતની ટીમનો હિસ્સો રહી ચૂકેલા ફાસ્ટ બોલર શાંતાકુમાર શ્રીસંતે પોતાના ઉપર આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે લાગેલો પ્રતિબંધ હટતાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મને બોલાવો. હું આવીશ અને ગમે ત્યાં ક્રિકેટ રમીશ. આ નિવેદન આપતી વખતે તેના ચહેરા પર હતાશા દેખાઈ રહી હતી. ઉચ્ચ અદાલતના આદેશને પગલે બીસીસીઆઈએ શ્રીસંતનો આજીવન પ્રતિબંધને બદલે ૭ વર્ષના પ્રતિબંધની સજા કરી હતી. આ પ્રતિબંધ હવે હટી ગયો છે.
શ્રીસંતે કહ્યું હતું કે, હું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના એજન્ટો સાથે વાત કરી રહ્યો છું. હું આ દેશોમાં ક્લબ સ્તરની ક્રિકેટ મેચ રમવા માગું છું. મારું લક્ષ્ય ૨૦૨૩ના વિશ્વકપમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. પોતાની બીજી ઈચ્છા અંગે શ્રીસંતે કહ્યું હતું કે, મારી બીજી ઇચ્છા એ છે કે હું લોર્ડ્સમાં એમ.સી.સી. અને વર્લ્ડ ઇલેવન વચ્ચે યોજવા જઈ રહેલા મેચોમાં રમવા માગું છું.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં આઈપીએલની મેચમાં સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઈએ શ્રીસંત ઉપર આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર બાદ ૨૦૧૫માં દિલ્હીની એક વિશેષ અદાલતે શ્રીસંત પર લાગેલા તમામ આરોપો રદ્દ કરીને તેને આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
વર્ષ ૨૦૧૮માં કેરળની ઉચ્ચ અદાલતે શ્રીસંત પર બીસીસીઆઈએ લગાવેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો હતો અને શ્રીસંત વિરુદ્ધની તમામ કાર્યવાહીને પણ રદ્દ કરી દીધી હતી. જોકે ઉચ્ચ અદાલતની ખંડપીઠે શ્રીસંતની પ્રતિબંધની સજાને યથાવત રાખી હતી. કેરળ ઉચ્ચ અદાલતના આ નિર્ણયને શ્રીસંતે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીસંતના ગુનાને માન્ય ઠેરવ્યો હતો, પરંતુ બીસીસીઆઈને તેની સજા ઓછી કરવાનો આદેશ આપ્યો હતો. બીસીસીઆઈએ ત્યાર બાદ શ્રીસંતની આજીવન પ્રતિબંધની સજાને ઘટાડીને ૭ વર્ષની કરી હતી.
શ્રીસંતે ભારત માટે અત્યાર સુધી ૨૭ ટેસ્ટ મેચ, ૫૩ વન-ડે મેચ અને ૧૦ ટી-૨૦ મેચ રમી છે. તેણે ટેસ્ટમાં ૮૭, વન-ડે મેચમાં ૭૫ અને ટી-૨૦ મેચોમાં ૭ વિકેટ ઝડપી છે.