આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું- ભારત દ્વારા થયેલી સહાય 'દાન' નથી, નાણાં પરત કરવા પડશે
શ્રીલંકા 1948માં તેની આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે અહીં ખોરાક, દવા, રાંધણ ગેસ અને ઈંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. ભારત સહિત અનેક દેશો પાસેથી આર્થિક મદદ મળવા છતાં શ્રીલંકામાં આર્થિક સંકટ હજુ પણ યથાવત છે અને તે IMF પાસેથી મદદની આશા રાખી રહ્યું છે. શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે, વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું છે કે, ભારત દ્વારા આપવામાં આવી રહેલી સહાય 'સખાવતી દાન' નથી. અને શ્રીલંકાની સંસદને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે, ભારત પાસેથી મળેલા નાણાં પરત કરવાની અમારી પણ યોજના હોવી જોઈએ. સાથે તેમણે કહ્યું કે, શ્રીલંકા હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
રાનિલ વિક્રમસિંઘેએ સંસદમાં કહ્યું, 'અમે ઈન્ડિયન લાઈન ઓફ ક્રેડિટ હેઠળ 4 બિલિયન યુએસ ડોલરની લોન લીધી છે. અમે અમારા ભારતીય સમકક્ષોને વધુ લોન સહાય માટે વિનંતી કરી છે પરંતુ ભારત પણ આ રીતે અમને સતત સમર્થન આપી શકશે નહીં. તેમની મદદની પણ મર્યાદા હોય છે. બીજી તરફ, આ લોનની ચૂકવણી કરવાની અમારી પાસે પણ યોજના હોવી જોઈએ. આ સખાવતી દાન નથી.
તેમણે સંસદને આર્થિક કટોકટીનો સામનો કરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ સ્થાનિક આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુરુવારે કોલંબો પહોંચવાની છે. વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, શ્રીલંકા હવે માત્ર બળતણ, ગેસ, વીજળી અને ખોરાકની અછત કરતાં વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું, 'આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણ પતનમાં આવી ગઈ છે. આજે આપણી સામે આ સૌથી ગંભીર મુદ્દો છે. આ મુદ્દાઓ શ્રીલંકાના અર્થતંત્રને પુનર્જીવિત કરીને જ ઉકેલી શકાય છે. આ કરવા માટે, આપણે સૌ પ્રથમ વિદેશી વિનિમય અનામતની કટોકટીને સંબોધિત કરવી જોઈએ. વિક્રમસિંઘેએ કહ્યું કે, શ્રીલંકાની હવે એકમાત્ર આશા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પાસેથી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp