ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ યોજી શકાઈ નથી. બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગુણાંકન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવશે. પરંતુ આ પરિણામથી કોઈ વિદ્યાર્થી અસંતુષ્ટ હોય તો તેમના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે.
બોર્ડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા જાહેર થયેલ ગુણાંકન પધ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવનાર છે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો તેમણે પરિણામ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
અલગથી યોજાશે પરીક્ષા
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો, વિધ્યાર્થિઓ તેમજ વાલીઓએ નોંધ લેવા બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.
પરિણામ નક્કી કરવા માટે સરકારની આ છે ફોર્મ્યુલા
ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાઓ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ નક્કી કરવા માટે સરકાર દ્વારા ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે મુજબ,
1- ધો.૧૦ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધો.૧૨ના જૂથ મુજબના વિષયના ગુણાંકન (૭૧ ટકા) જેનું ૫૦ ટકા ગુણભાવ
2- ધોરણ ૧૧ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધોરણ-૧૧ની પ્રથમ સામાયિક કસોટીના અને દ્વિતિય સામાયિક કસોટીમાંથી મળેલા કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન જેનું ૨૫ ટકા ગુણભાવ
3- શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલા ધોરણ-૧૨ની પ્રથમ સામાયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલા વિષયવાર એકમ કસોટી એમ કુલ ૧૨૫ ગુણાંથી મળેલા ગુણના આધારે ગુણાંકન જેનું ગુણ ભાર ૨૫ આમ કુલ ૧૦૦ ગુણ પ્રમાણે પરિણામ નક્કી થશે.