મુંબઈ : ૧૫ મી જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થઇ ગયા બાદ બંને દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટના બાદ આખા દેશમાં લોકોને ચીન પ્રત્યે ગુસ્સો છે, અને લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. એવામાં આ વિવાદની અસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ઉપર પણ પડી શકે છે તેવું લાગી રહ્યું છે.
દર વર્ષે એપ્રિલ-મે મહિનાના સમયગાળામાં યોજાતી આઈપીએલ આ વર્ષે કોરોના મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈ આઈપીએલના આયોજન મુદ્દે સતત વિચારણા કરી રહ્યું છે. આ સંજોગોમાં જો આ વર્ષે આઈપીએલનું આયોજન થાય તો ભારત-ચીન વચ્ચે ચાલતા વિવાદની અસર જોવા મળી શકે છે.
વાસ્તવમાં આઈપીએલનો ટાઈટલ સ્પોન્સર એક ચીની સ્માર્ટફોન કંપની ‘વિવો’ (vivo) છે. વર્ષ ૨૦૧૮માં વિવો કંપનીએ ૨૧૯૯ કરોડ રૂપિયાના ખર્ચે ૫ વર્ષ માટે આ કરાર કર્યો હતો. પરંતુ હવે ચીન પ્રત્યે લોકોનો આક્રોશ જોઇને લાગે છે કે આ મુદ્દે હવે બીસીસીઆઈ અને આઈપીએલ વિચારણા કરી શકે છે.
આ મુદ્દે આઈપીએલના અધિકારીક ટ્વીટર હેન્ડલ ઉપરથી જણાવવામાં આવ્યું હતું કે, ‘સરહદ પર થયેલ ઘર્ષણમાં આપણા બહાદૂર જવાનોની શહાદતને ધ્યાનમાં રાખીને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આગામી સપ્તાહે વિવિધ સ્પોન્સરશીપ ડીલની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે.’
બીસીસીઆઈ પાસેથી મળેલી જાણકારી મુજબ આ વર્ષે આઈપીએલના આયોજનને લઈને તમામ વિકલ્પો ઉપર વિચારણા ચાલી રહી છે. જો મેચ દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં પણ યોજવી પડે તોપણ તેઓ તૈયાર છે તેમ જણાવવામાં આવ્યું હતું. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષે આઈપીએલ યોજાય એ માટેના તમામ વિકલ્પો તપાસવામાં આવી રહ્યા છે, જેમાં ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવું પણ સામેલ છે.’
અગાઉ બીસીસીઆઈને શ્રીલંકા અને યુંએઈ જેવા દેશોમાંથી આઈપીએલની યજમાની માટે ઓફર આપવામાં આવી હતી, પરંતુ કોઈ મોટા દેશમાં ક્રિકેટની શરૂઆત ન થઇ હતી અને કોરોના મહામારીને કારણે બીસીસીઆઈએ એ મુદ્દે કોઈ વિચાર કર્યો નથી.