PM Modi-Shah Meets President Murmu: કંઈક મોટું થવાનું છે કે શું? એક જ દિવસમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ કરી મુલાકાત
PM Modi-Shah Meets President Murmu: રાજધાની દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ બંનેની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યુનાઇટેડ કિંગડમ અને માલદીવ્સની તાજેતરની મુલાકાત બાદ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની આ પહેલી મુલાકાત હતી. વડાપ્રધાનની મુલાકાત બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સાંજે રાષ્ટ્રપતિ મૂર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. આ બંને મોટા ચહેરાઓની રાષ્ટ્રપતિ સાથેની અલગ-અલગ મુલાકાત બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે કે શું.
વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહની મુલાકાતથી રાજકીય ગલિયારાઓમાં હલચલ મચી ગઈ છે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન સરકાર સાથે જોડાયેલા લોકો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાનું ટાળે છે, જ્યાં સુધી કોઈ ખાસ કારણ ન હોય. એવામાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનું માત્ર એક કલાકના ગેપમાં રાષ્ટ્રપતિ ભવન જવું એ કેટલાક મોટા ઘટનાક્રમ તરફ ઈશારો કરી રહ્યું છે.
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે. 21 જુલાઈ 2025ના રોજ, જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોનો સંદર્ભ આપીને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચોમાસુ સત્રના પહેલા દિવસના અંત બાદ, તેમણે રાષ્ટ્રપતિ મૂર્મુને રાજીનામું સુપરત કર્યું હતું.
બીજી તરફ, ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને બિહારમાં વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષ આ પ્રક્રિયા પર સતત સવાલ ઉઠાવી રહ્યું છે. વિપક્ષ આ મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા ઇચ્છે છે, પરંતુ સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. આ કારણે સંસદની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. હાલમાં, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહની રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાતનું સાચું કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. જોકે, આ મુલાકાતથી રાજકીય ગતિવિધિઓને વધુ તેજ કરી દીધી છે.
રાજકારણ પર નજર રાખનારાઓનું માનવું છે કે સરકાર કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. એવું પણ થઈ શકે સદનમાં કોઈ મોટું બિલ આવવાનું હોય. એવું પણ શક્ય છે કે જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી વિદાઇ થઈ તેને લઈને કોઈ ચર્ચા થઈ રહી હોય. સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ એ વાત નક્કી છે કે કોઈ મોટી હિલચાલ થઈ રહી છે.
સંસદના ચોમાસું સત્રમાં ઘણા સંવેદનશીલ બિલ રજૂ કરવાના છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અથવા વન નેશન વન ઇલેક્શન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરી અથવા પૂર્વ માહિતીની જરૂરિયાત પડી શકે છે, આ કારણે પણ ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલકાત કરી હોય શકે છે.
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારતના મિત્ર દેશ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી લશ્કરી હથિયારો અને ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ દંડ લાદવાની જાહેરાત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp