Ajit Pawar: મહારાષ્ટ્રમાં અજીત પવારે જીતી વધુ એક ચૂંટણી, 101માંથી 91 વોટ હાંસલ કરીને મારી બાજી
Malegaon Sugar Factory Election: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મંગળવારે માલેગાંવ સહકારી ખાંડ મિલની ચૂંટણીમાં પોતાની બેઠક જીતી લીધી, જેને પવારના ગઢ બારામતીમાં સુગર બોડી પર સત્તા મેળવવા માટે પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પ્રદેશના શેરડીના ખેડૂતોના બનેલા જૂથ 'A'માં 19549 મતદારો સામેલ હતા, જ્યારે ખાંડ મિલ સાથે સંકળાયેલી વિવિધ સહકારી સંસ્થાઓના સભ્યોના બનેલા જૂથ 'B'માં 102 મતદારો હતા.
અજીત પવારની આગેવાની હેઠળની નીલકંઠેશ્વર પેનલની ચૂંટણીનું નિરીક્ષણ કરી રહેલા NCP નેતા કિરણ ગુજરે જણાવ્યું હતું કે માલેગાંવ સહકારી ખાંડ મિલના 21 સભ્યોના બોર્ડ માટે ચૂંટણી પરિણામોમાં અજીત પવાર 'B' શ્રેણીમાં વિજેતા બન્યા છે, જ્યાં તેમણે 101માંથી 91 મતો મેળવ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવારને માત્ર 10 મત મળ્યા હતા.
અજીત પવાર બારામતી સ્થિત ખાંડ મિલના 21 સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પાર્ટી ટિકિટ પર નહીં, પરંતુ વિવિધ પેનલના બેનર હેઠળ ચૂંટણી લડી રહેલા 90 ઉમેદવારોમાંથી એક હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજીત પવારના નેતૃત્વવાળી નીલકંઠેશ્વર પેનલ 4 દાયકાથી વધુ સમય બાદ સહકારી ખાંડ મિલની ચૂંટણી લડી રહી છે. હાલમાં, તે મિલની સત્તા પર પ્રભુત્વ ધરાવે છે.
નીલકંઠેશ્વર પેનલ અને ચંદ્રરાવ તાવરેના નેતૃત્વ હેઠળની સહકાર બચાવ પેનલ સિવાય, શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP)એ 'બલિરાજા સહકાર' પેનલ બનાવીને ચૂંટણીમાં એન્ટ્રી કરી, ત્યારબાદ આ મુકાબલો ત્રિકોણીય બની ગયો હતો. નાયબ મુખ્યમંત્રી અજીત પવારના કાકા શરદ પવાર સીધા મેદાનમાં નથી. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, અજીત પવારે છેલ્લે વર્ષ 1984માં ખાંડ મિલ બોર્ડની ચૂંટણી લડી હતી અને બારામતી પ્રદેશમાં છત્રપતિ સહકારી ખાંડ મિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp