નવી દિલ્હી: આખરે આજે સાંજે શપથ લેનાર નવા મંત્રીઓના નામની યાદી બહાર પડી ગઈ છે. ન્યુઝ એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, મંત્રીમંડળ વિસ્તરણ (Cabinet Expansion) અંતર્ગત નવા ૪૩ મંત્રીઓ શપથ લેશે. જેમાંથી ૩૩ નવા મંત્રીઓ છે જ્યારે ૧૦ મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી ત્રણ સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે જ્યારે રાજ્યમંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવશે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ તેમજ દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે.
યાદીમાં અનેક મોટા નેતાઓના નામ સામેલ છે. જેમાં સર્બનંદ સોનાવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, અનુપ્રિયા પટેલ, નારાયણ રાણે, ભુપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, હરદીપસિંહ પૂરી, કિરણ રીજીજુ, મિનાક્ષી લેખી અને અનુરાગ ઠાકુર વગેરેનો સમાવેશ થાય છે.
પ્રસાદ, જાવડેકર સહિત ૧૨ મંત્રીઓ હટાવાયા
સાંજે મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે તે અગાઉ હાલના મંત્રીઓ પૈકી ૧૧ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જેમાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન તેમજ પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા, અને દેબોશ્રી ચૌધરી વગેરેના પણ રાજીનામાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પણ મંત્રીપદેથી રાજીનામા ધરી દીધા છે. આમ કુલ ૧૨ મંત્રીઓને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને જે-તે ખાતું નવા મંત્રીઓને સોંપવામાં આવશે.
શપથગ્રહણ પહેલા વડાપ્રધાન મોદી આ તમામ મંત્રીઓને પીએમ આવાસ ખાતે મળ્યા હતા અને ચર્ચા કરી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે, આજે શપથગ્રહણ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આવતીકાલે પણ નવા મંત્રીઓને મળી શકે છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. લગભગ એક કલાક સુધી આ સમારોહ ચાલશે અને આ દરમિયાન કોરોનાના નિયમોનું પાલન પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.