Ryan ten Doeschate: જસપ્રીત બૂમરાહ ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં? ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચે આપ્યું અપડેટ, ઈન્જર્ડ પંતને લઈને પણ કહી આ વાત
Pant, Bumrah to play 4th Test? Ryan ten Doeschate answers: ભારતીય ક્રિકેટ ટીમ 23 જુલાઈ (બુધવાર)થી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમશે. ભારતીય ટીમના સહાયક કોચ રયાન ટેન ડોશેટે આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમ હાલમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ છે. એવામાં, ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે બુમરાહ આ મહત્ત્વપૂર્ણ મેચમાં રમે.
રયાન ટેન ડોશેટે બેકનહામમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું, 'અમે માન્ચેસ્ટરમાં જસપ્રીત બુમરાહ અંગે અંતિમ નિર્ણય લઈશું. શ્રેણી હવે નિર્ણાયક વળાંક પર છે, એટલે અમે તેને રમાડવાના પક્ષમાં છીએ. પરંતુ આપણે મોટી તસવીરને પણ જોવું પડશે. આપણે કેટલા દિવસ ક્રિકેટની અપેક્ષા રાખીએ છીએ, માન્ચેસ્ટરમાં જીતવાની શ્રેષ્ઠ શક્યતા શું છે. ત્યારબાદ, ઓવલ ટેસ્ટમાં અમારી રણનીતિ શું હશે, આ બધું ધ્યાનમાં રાખવું પડશે. ટેન ડોશેટે રિષભ પંતની ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું.
લોર્ડ્સ ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમે બેકનહામના કાઉન્ટી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ટીમના ખેલાડીઓ માન્ચેસ્ટર જવા રવાના થયા. જસપ્રીત બુમરાહે લીડ્સ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, ત્યારબાદ તેને એજબેસ્ટન ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. પછી બુમરાહે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. બુમરાહે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 4 ઇનિંગમાં અત્યાર સુધી 28.09ની સરેરાશથી 12 વિકેટ લીધી છે.
રયાન ટેન ડોશેટે કહ્યું કે ભલે જસપ્રીત બુમરાહના વર્કલોડને લઈને વાત થઈ રહી હોય, પરંતુ મોહમ્મદ સિરાજના વર્કલોડને ધ્યાનમાં રાખવું પણ મહત્વપૂર્ણ છે. સિરાજે વર્તમાન શ્રેણીમાં 13 વિકેટ લીધી છે અને હાલમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ટેન ડોશેટે કહ્યું, 'આ એક લાંબો પ્રવાસ રહ્યો છે. બુમરાહના વર્કલોડ બાબતે ઘણી વાતો થઈ છે, પરંતુ આપણે સિરાજને મેનેજ કરવું પડશે.' આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે સિરાજ જેવો બોલર હોવો એ સામાન્ય બાબત છે. જ્યારે સત્ય એ છે કે તેના જેવો બોલર હોવો આપણા માટે સૌભાગ્યની વાત છે.'
રયાન ટેન ડોશેટે આગળ કહ્યું, 'તે (મોહમ્મદ સિરાજ) દર વખતે વિકેટ ન લઈ શકે, પરંતુ તેનો જુસ્સો જોવા જેવો છે. દર વખતે જ્યારે તે બોલિંગ કરે છે, ત્યારે એવું લાગે છે કે કંઈક ખાસ થવાનું છે. સિરાજ ક્યારેય સખત મહેનતથી દૂર રહેતો નથી, એટલે તેના વર્કલોડનું સંચાલન કરવું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે જેથી તે ફિટ રહે અને સતત પોતાનું શ્રેષ્ઠ આપી શકે.'
રયાન ટેન ડોશેટે રિષભ પંત બાબતે કહ્યું કે, 'તે માન્ચેસ્ટરમાં બેટિંગ કરશે. તેણે ત્રીજી ટેસ્ટમાં ખૂબ પીડા સાથે બેટિંગ કરી હતી. પરંતુ હવે તેની આંગળી સારી થઈ રહી છે. વિકેટકીપિંગ સૌથી છેલ્લો તબક્કો છે. તે કીપિંગ માટે સંપૂર્ણપણે તૈયાર છે કે નહીં તે નક્કી કરવું પડશે. અમે ફરીથી એવી પરિસ્થિતિમાં જવા માગતા નથી જ્યાં આપણે ઇનિંગ્સની વચ્ચે કીપર બદલવો પડે. તેણે આજે આરામ કર્યો. અમે તેની આંગળીઓને શક્ય તેટલો આરામ આપી રહ્યા છીએ. આશા છે કે તે માન્ચેસ્ટરમાં પહેલા ટ્રેનિંગ સત્ર માટે પૂરી રીતે ફિટ થઈ જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp