‘ભારતીય સેના મજબૂત છે અને ચીનને હરાવી શકે છે, બીજા દેશોને પણ માત આપી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગીરી ન કરો, આ રાજનીતિ કરવી સારી નથી. મારો દીકરો પહેલા પણ સેનામાં લડ્યો છે અને આગળ પણ લડશે.’
નવી દિલ્હી : ગલવાન ઘાટીમાં ૧૫ જુને ચીની સૈનિકો સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઝપાઝપીમાં ભારતના વીસ જવાનો શહીદ થઇ ગયા હતા. ત્યારથી એ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત સવાલ ઉઠાવી રહ્યા છે અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ઘાયલ જવાનના પિતા બળવંતસિંહનો વિડીયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે એ જ જવાનના પિતાનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે રાહુલને આ મુદ્દે રાજનીતિ ન કરવાની સલાહ આપી છે.
વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘ભારતીય સેના મજબુત છે અને ચીનને હરાવી શકે છે, બીજા દેશોને પણ માત આપી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગીરી ન કરો, આ રાજનીતિ કરવી સારી નથી. મારો દીકરો પહેલા પણ સેનામાં લડ્યો છે અને આગળ પણ લડશે.’
રાહુલ ગાંધીએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા જવાનના પિતાનો વિડીયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કર્યો હતો. જેમાં જવાનના પિતાએ કહ્યું હતું કે તેમણે એમના પુત્ર સાથે વાત કરી છે અને તેણે કહ્યું હતું કે તેની પાસે કોઈ હથિયાર ન હતા.
જે પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘એ જાણીને દુખ થાય છે કે ભારત સરકારના વરિષ્ઠ મંત્રી વડાપ્રધાનને બચાવવા માટે જુઠું બોલવા ઉપર ઉતરી આવ્યા છે. પોતાના જૂઠથી શહીદોનું અપમાન ન કરો.’
પરંતું હવે તેમણે રાહુલના ટ્વીટનો પલટવાર કર્યો છે અને વિડીયોમાં રાહુલને રાજનીતિ ન કરવાની સલાહ આપી રહ્યા છે.
ઘાયલ જવાનના પિતાના આ બયાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સસ્તી રાજનીતિ કરવા માટે રાહુલ ગાંધીને નિશાને લીધા હતા. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે ‘એક ઘાયલ જવાનના પિતા પાસે રાહુલ ગાંધી માટે સ્પષ્ટ જવાબ છે. આવા સમયમાં આખો દેશ એકસાથે છે. ત્યારે રાહુલ ગાંધીએ ઓછી રાજનીતિ કરવાથી ઉપર આવવું જોઈએ અને રાષ્ટ્રીય હિતમાં સરકારની સાથે ઉભા રહેવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે ૧૫ મી જુને ભારતીય-ચીની સૈનિકો વચ્ચે હિંસક લડાઈ થઇ હતી. જેમાં વીસ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જયારે સામે પક્ષે ૪૩ ચીની સૈનિકો માર્યા ગયા હતા. એ ઘટના પછી સરકાર અને સેના એકશનમાં આવી ગઈ છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું નથી કે આપણી કોઈ પોસ્ટ એમના કબ્જા હેઠળ નથી. લદાખમાં આપણા વીસ જાંબાઝ શહીદ થયા છે, જેમણે ભારત માતા તરફ આંખ ઉઠાવીને જોયું હતું તેમને તેઓ પાઠ ભણાવીને ગયા છે.’