બોલો, રાજસ્થાન શિક્ષણ મંત્રાલય મુજબ રાણા પ્રતાપમાં આયોજનનો અભાવ હતો!
જયપુર: રાજસ્થાન કોંગ્રેસ સરકારે વીર યોદ્ધા મહારાણા પ્રતાપની ઐતિહાસિક સંઘર્ષની કથાને હટાવીને એમાં વિવાદિત સંશોધન કર્યું છે. રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પ્રકાશિત ધોરણ ૧૦ના પાઠ્યપુસ્તકના બીજા પ્રકરણ ‘સંઘર્ષકાલીન ભારત’ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૧૬મી સદીના મેવાડના રાજા મહારાણા પ્રતાપમાં શત્રુતાની પરીસ્થિતિમાં એક સૈન્ય કમાન્ડરના રૂપમાં ધૈર્ય અને નિયંત્રણની યોજનાની ઉણપ હતી. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના બીજા પ્રકરણમાં લખવામાં આવ્યું છે કે, ‘સેનાપતિમાં પ્રતિકુળ સંજોગોમાં જે ધૈર્ય, સંયમ અને આયોજન હોવા જોઈએ એ પ્રતાપમાં ન હતા.’
આ પ્રકરણ મહારાણા પ્રતાપ અને મુઘલ રાજા અકબર વચ્ચે થયેલી ઐતિહાસિક હલ્દીઘાટીના યુદ્ધ વિશે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુઘલ સેના પહાડી વિસ્તારોમાં લડવા માટે નિપુણ ન હતી., જયારે મેવાડ સેના ખુલ્લા મેદાનમાં લડવા માટે સક્ષમ ન હતી. જયારે મુઘલ સેના પાછળ હટવા માંડી તો એનો પીછો કરતા પ્રતાપની સેના બાદશાહ બાગ મેદાનમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ પરિણામ પ્રતાપ માટે પ્રતિકૂળ હતા.
તે ઉપરાંત મહારાણા પ્રતાપની હારના કારણો વિશે પણ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ‘પરાજય માટે નિમ્નલિખિત કારણો જવાબદાર હતા’ એવા શીર્ષક હેઠળ ચાર કારણો આપવામાં આવ્યા છે.
વાસ્તવમાં હલ્દીઘાટીનું યુદ્ધ આમેરના રાજા માનસિંહના નેતૃત્વ હેઠળની અકબરની સેના અને મહારાણા પ્રતાપની રજપૂત સેના વચ્ચે થયું હતું. જેમાં રાણા પ્રતાપની સેનાએ અકબરની સેના ઉપર જીત મેળવી હતી. આ પહેલા એવું ભણાવવામાં આવતું હતું કે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની જીત થઇ હતી. પરંતુ ૨૦૧૭માં અભ્યાસક્રમ બદલીને બીજેપી સરકારે પાઠ્યપુસ્તકમાં ઉમેર્યું હતું કે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનાએ અકબર ઉપર વિજય મેળવ્યો હતો.
મેવાડના રાજપરિવાર જેઓ મહારાણા પ્રતાપના વંશજ છે તેમણે હાલમાં પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલા આ વિવાદિત સંશોધન મુદ્દે આપત્તિ વ્યકત કરી હતી. પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ મેવાડે કહ્યું હતું કે મહારાણા પ્રતાપના જીવનના ઐતિહાસિક પ્રસંગોને પાઠ્યપુસ્તકમાંથી દૂર કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. રાજપરિવારે માંગણી કરી છે કે રાજ્ય શિક્ષણ બોર્ડ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલા દાવાના સબૂત આપે અથવા જલ્દીથી પુસ્તકમાંથી વિવાદિત પ્રકરણો અથવા લખાણ હટાવે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન કોંગ્રેસ સરકારે એક વર્ષ અગાઉ બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક સાવરકરના નામની આગળથી ‘વીર’ શબ્દ હટાવીને તેમનું અપમાન કર્યું હતું. હવે રાજસ્થાન સરકારે મહારાણા પ્રતાપના શૌર્યના કિસ્સાઓને હટાવીને તેમના વિશે વિવાદિત લખાણ પ્રકાશિત કર્યું છે.
કોંગ્રેસ સત્તા પર હોય ત્યારે શા માટે મોગલોની વીરતાને બઢાવી-ચઢાવીને અને મૂળ ભારતીય રાજા અને પ્રજાને દુર્ગુણોથી ભરપૂર રજૂ કરવામાં આવે છે, એ વિષેની ચર્ચા આ ઘટના પછી ફરી એક વાર ચાલી નીકળી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp