યુએઈ: આઈપીએલ રમવા માટે યુનાઇટેડ આરબ અમીરાત પહોંચેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા મહેન્દ્રસિંહ ધોનીની ટીમના 13 લોકો (2 ખેલાડીઓ અને 11 સ્ટાફ સભ્યો)નો ફરીથી કરાયેલો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. જો કે, ટીમ માટે હજી પણ સમસ્યા છે કે હજુ પણ ટીમ માટે પ્રેક્ટિસ કરવાનો રસ્તો થઈ શક્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓની ફરી કોરોના ટેસ્ટ થશે. જો દરેકનો રિપોર્ટ નેગેટિવ આવે છે તો જ તેમને 5 સપ્ટેમ્બરથી ક્રિકેટ પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળશે.
આ દરમિયાન મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે સુરેશ રૈના બાદ હવે હરભજનસિંહે પણ આ વર્ષે આઈપીએલ છોડવાનું નક્કી કર્યું છે. ખેલાડીની નજીકના એક સુત્રને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવ્યું છે કે, હરભજન સિંહ મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવાનો હતો. પરંતુ હરભજન હાલની સીએસકેની સ્થિતિને કારણે ખૂબ ચિંતિત છે. અને કોરોનાને ધ્યાનમાં લઈને તે આ વર્ષે તેનું શેડ્યૂલ બદલી શકે છે અથવા આઈપીએલમાંથી બહાર નીકળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડુપ્લેસી, લુંગી એનગિડી અને કેગિસો રબાડા ગઈકાલે મંગળવારે IPLમાં ભાગ લેવા માટે યુએઈ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડુપ્લેસી અને ઝડપી બોલર એનગિડી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં છે. જ્યારે રબાડા એ દિલ્હીની ટીમનો એક ભાગ છે.
મળતી માહિતી મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટિલે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ત્રણેય ખેલાડીઓની તસ્વીરો શેર કરી છે. ત્રણેય ખેલાડીઓને છ દિવસ માટે ક્વોરેન્ટેડ રહેવું પડશે. પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે તેમનું કોરોના પરીક્ષણ પણ કરવામાં આવશે. જ્યારે ત્રણેય પરીક્ષણો નકારાત્મક આવશે ત્યારે જ તેઓ પ્રેક્ટિસ શરૂ કરી શકશે. આઈપીએલમાં ભાગ લેનારા લગભગ તમામ ભારતીય ખેલાડીઓ પહેલાથી જ યુએઈ પહોંચી ચૂક્યા છે. અને તેમણે છ દિવસની ક્યુરેન્ટાઇન અવધિ પણ પૂર્ણ કરી છે. દરેક ખેલાડીઓ અને
ટિમ સાથે જોડાયેલા સભ્યોને કવોરંટાઈન કરવા એ બીસીસીઆઈની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાનો એક ભાગ છે.
ચેન્નાઈ સુપરકિંગ્સને 13 સભ્યોના કોરોના પોઝિટિવ આવતા પહેલાથી જ મોટો ઝટકો લાગ્યો છે. ઉપરાંત સુરેશ રૈના કે જેઓ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી તરીકે ઓળખાય છે એ ટુર્નામેન્ટ છોડી ભારત પરત આવી ચુક્યા છે. રૈનાએ અંગત કારણોસર આઈપીએલ છોડી દીધી છે. મીડિયા દ્વારા મળતા અહેવાલો મુજબ તાજેતરમાં જ પઠાણકોટમાં સુરેશ રૈનાના કાકીના ઘરે હુમલો થયો હતો. તેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હુમલા બાદ સુરેશ રૈનાએ ન્યાય મેળવવા માટે પંજાબ પોલીસનો સંપર્ક કર્યો છે.