‘RCBના ઇવેન્ટમાં અમારો કોઈ રોલ નથી, પરંતુ..’, બેંગ્લોર ભાગદોડ પર BCCIનું નિવેદન
Bangalore Chinnaswamy Stadium Stampede: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ઐતિહાસિક જીતની ઉજવણી અગાઉ, બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ. અત્યાર સુધી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે. તો, મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને લઈને અંગે ઇન્ડિયા ટૂડે સાથેની ખાસ વાતચીતમાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી બોધ લેવો જોઈએ.
દેવજીત સૈકિયાએ કહ્યું કે, 'મને લાગે છે કે આ ઘટનામાં કેટલીક ભૂલો થઈ છે. જોકે આ RCB ઇવેન્ટ સાથે BCCIનું કોઈ લેવું-દેવું નથી, પરંતુ તેમ છતા આપણે તેમાંથી બોધ લેવો જોઈએ. BCCI હવે આવા વિજય સમારોહોને લઈને કેટલાક નવા નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ અકસ્માત પર કહ્યું કે જે પણ મદદ કરી શકાય છે, અમે તે ચોક્કસ કરીશું. હું કર્ણાટક સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યો છું. અમે BCCI સ્તરે પણ આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છીએ. આ દુ:ખદ ઘટના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. આવી ઘટનાઓ ગમે ત્યાં બની શકે છે, એટલે તેનો ઉકેલ સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે.
તેમણે કહ્યું કે હું પોતાની ફ્રેન્ચાઇઝી, કર્ણાટક સરકાર અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં છું. દરેક વ્યક્તિ પરિસ્થિતિને સંભાળવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે. ક્રિકેટ એક રમત છે, તેમાં રાજકારણ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે IPL જેવી લીગમાં આવી ઘટના બનશે. અમે બધા પ્રભાવિત પરિવારો સાથે છીએ અને શક્ય તેટલી મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં RCBના ચાહકો પોતાની ટીમને ચિયર કરવા અને વિજેતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, ભીડનો મોટો હિસ્સો ત્યાં આવેલી ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ચઢી ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્લેબ આટલું ભારે વજન સહન કરી શક્યો નહીં અને અચાનક તૂટી પડ્યો. સ્લેબ તૂટતાની સાથે જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.
કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા RCB ખેલાડીઓના સન્માનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કાર્યક્રમ અગાઉ પૂરતી સુરક્ષા અને ભીડ નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સ્થળ પર ભીડને સંભાળવા માટે પૂરતો પોલીસ દળ અને બેરિકેડિંગ જેવી વ્યવસ્થા નહોતી, જેના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ અને અકસ્માત થયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp